Israel Palestine Attack: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. મંગળવારે  ઇઝરાયેલ-હમાસ યુદ્ધ તેના ચોથા દિવસે પ્રવેશ્યું. આ દરમિયાન હમાસના લડવૈયાઓએ ફરી એકવાર ઈઝરાયેલના એશ્કેલોન પર રોકેટ છોડ્યા છે. ત્યાં હાજર ન્યૂઝ એજન્સી ANIની ટીમે આ હુમલાનો વીડિયો શેર કર્યો છે.


હમાસ ઈઝરાયેલની દક્ષિણી સરહદના ઘણા વિસ્તારોમાં સતત રોકેટ ફાયર કરી રહ્યું છે. આ વિસ્તારોમાં હમાસના લડવૈયાઓ સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા. જો કે, ઈઝરાયેલે હવે દાવો કર્યો છે કે તેણે દક્ષિણ સરહદ પર તેની પાછલી સ્થિતિ પાછી મેળવી લીધી છે અને હમાસના લડવૈયાઓને હરાવી દીધા છે.


'અમે શાંતિથી જીવવા માંગીએ છીએ'


ન્યૂઝ એજન્સી ANI એ એશ્કેલોનમાં રહેતી ભારતીય મૂળની ઇઝરાયેલી મહિલા ઇલાના સાથે વાત કરી હતી. ઇલાનાએ કહ્યું, “માત્ર એક દિવસ પહેલા  હમાસ દ્વારા છોડવામાં આવેલા રોકેટ એશકેલોનમાં પડ્યા હતા. વાહનોમાં આગ લાગી હતી અને તમામ ઈમારતોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અમે ડર અનુભવતા હતા, પરંતુ અમને અમારી સેના પર વિશ્વાસ છે. આ અમારું ઘર છે અને અમે ક્યાંય જઈ શકતા નથી. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ.




ઈઝરાયેલમાં મૃત્યુઆંક હજારને વટાવી ગયો છે


એપીના અહેવાલ મુજબ, ઇઝરાયેલના એક સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, હમાસના હુમલામાં મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. આ હુમલાના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનોને હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવ્યા હતા.


નેતન્યાહુએ પીએમ મોદી સાથે વાત કરી


તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે ભારતીય પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને તાજેતરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમના ઈઝરાયેલના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુને કહ્યું કે ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં તેમના દેશની સાથે મજબૂતીથી ઉભા છે.


'ઈઝરાયેલ સાથે ભારતના લોકો'


પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "હું વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો તેમના ફોન કૉલ અને મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં સખત અને સ્પષ્ટપણે વખોડે છે.