Justin Trudeau: ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ વધી ગઇ છે. 23 ઓક્ટોબરના રોજ કેનેડામાં સત્તાધારી લિબરલ પાર્ટીના સાંસદોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લિબરલ નેતા તરીકે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માંગ વધુ તીવ્ર બની હતી.


બંધ બારણે બેઠક દરમિયાન અસંતુષ્ટ સાંસદોએ તેમની ફરિયાદો ટ્રુડો સમક્ષ કરી હતી જે પક્ષમાં વધતા અસંતોષને વ્યક્ત કરી રહી છે. આ બેઠક હાઉસ ઓફ કોમન્સ સત્ર દરમિયાન યોજાતી સાપ્તાહિક કોકસ બેઠકનો એક ભાગ હતી. બુધવારની બેઠક એ સાંસદો માટે તેમની ચિંતાઓ અને હતાશાઓ સીધી પીએમ ટ્રુડો સમક્ષ વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ હતું.


ટ્રુડો પોતાની જ પાર્ટીના નિશાન પર આવ્યા


નોંધનીય છે કે ટ્રુડો છેલ્લા ઘણા મહિનાઓથી ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ ભારતના રાજદ્વારીઓને નિશાન બનાવી રહ્યા છે અને ભારત વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યા છે. પરંતુ હવે ટ્રુડો તેમના જ ઘરમાં ઘેરાયા છે. તેમના જ પક્ષના અનેક સાંસદોએ બળવો પોકાર્યો છે. તેમની જ પાર્ટીના સાંસદો તેમને પીએમ પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. આ સાંસદોનો આરોપ છે કે જો ટ્રુડોના નામે ચૂંટણી લડવામાં આવશે તો તેઓ પાર્ટીને બરબાદ કરશે.


અસંતુષ્ટ લિબરલ સાંસદોએ તેમને 28 ઓક્ટોબર સુધીમાં તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેવા અલ્ટીમેટમ આપતાં ટ્રુડો પોતાની પાર્ટીની અંદરથી જ વધી રહેલા દબાણનો સામનો કરી રહ્યા છે. ટ્રુડોના રાજીનામાના કેસની રૂપરેખા આપતો દસ્તાવેજ બુધવારે કોકસ મીટિંગ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.


24 સાંસદોએ કરાર પર હસ્તાક્ષર કર્યા


સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, રેડિયો-કેનેડા સાથે વાત કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે 24 સાંસદોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં ટ્રુડોને લિબરલ નેતા તરીકે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.


બેઠક દરમિયાન બ્રિટિશ કોલંબિયાના સાંસદ પૈટ્રિક વીલરે ટ્રુડોના રાજીનામાની માંગ કરતો દસ્તાવેજ રજૂ કર્યો હતો. દસ્તાવેજમાં જણાવાયું છે કે લિબરલ પાર્ટીમાં એ પ્રકારનું પરિવર્તન થઇ શકે છે જેવું અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન દ્ધારા દેશમાં આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ફરીથી ચૂંટણી ન લડવાનો વિકલ્પ પસંદ કર્યા બાદ ડેમોક્રેટ્સે જોયું છે.


ઘણા સાંસદોએ ટ્રુડોને સમર્થન આપ્યું હતું


ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન સાંસદોને બોલવા માટે બે મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. લગભગ 20 સાંસદોએ ટ્રુડોને આગામી ચૂંટણી પહેલા રાજીનામું આપવા વિનંતી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ સીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ ઘણા સાંસદોએ વડાપ્રધાનના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો.


કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'