હેગઃ પાકિસ્તાનની જેલામાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઈ ભારત અને પાકિસ્તાન આજે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આમને સામને થયા હતા. ભારત વતી આજે વકીલ હરીશ સાલ્વેએ ધારદાર રજૂઆત કરી હતી. કેસમાં વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં જાધવના કેસના આજથી ચાર દિવસ સુધી સુનવાણી ચાલશે.


ભારતે શું કરી દલીલ

આઈસીજેમાં ભારતનો પક્ષ રાખી રહેલા જાણીતા વકીલ હરીશ સાલ્વેએ દલીલમાં કહ્યું કે, "અમને આશા છે કે પાકિસ્તાને આપેલી સજા ભારત માન્ય નહીં રાખે. કુલભૂષણને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ પર વિશ્વાસ છે કે કુલભૂષણને ન્યાય આપશે. વિએના કન્વેશનની કલમ 36 અંતર્ગત પાકિસ્તાન ભારતને જાધવનું કાઉન્સલર એક્સેસ આપી રહ્યું નથી. અત્યાર સુધીમાં તેમને આ મુદ્દે રિમાઇન્ડર મોકલવામાં આવ્યા છે, જેનો કોઇ જવાબ આપ્યો નથી. જાધવના પરિવારે પાકિસ્તાનને તેને મળવાનો પ્રસ્તાવ મૂક્યો. આ મુલાકાત 25 ડિસેમ્બર 2017ના રોજ થઈ. ભારત આ મુલાકાતના વલણથી અને જાધવના પરિવાર સાથે કરવામાં આવેલા વર્તનથી નારાજ છે. આ ઉપરાંત પાકિસ્તાને વિસ્તારપૂર્વક કહેવું જોઈએ કે, કોન્સ્યુલર એક્સેસ આપવામાં 3 મહિનાનો સમય કેમ લાગ્યો. જાધવ મામલે કોઇ વકીલ નથી આપવામાં આવ્યા. ચાર્જશીટ અને મિલિટરી કોર્ટનો આદેશ પાકિસ્તાને ક્યારેય જાહેર કર્યો નથી. પાકિસ્તાને મામલાને આટલો લાંબો ખેંચવા માટે કોઇ તર્કપૂર્ણ કારણ જણાવ્યું નથી. પાકિસ્તાન દુષ્પ્રચાર માટે આઈસીજેનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાને જાધવ મામલે વિશ્વસનીય સાક્ષી રજૂ નથી કર્યા અને સ્પષ્ટ ગુનો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં છે."

વાંચોઃ બિહારઃપુલવામા હુમલા પર વડાપ્રધાન મોદીએ કહ્યું- જે આગ તમારા દિલમાં છે તે મારા દિલમાં પણ છે

જાધવને પાકિસ્તાને 2017માં કરી હતી ફાંસીની સજા

ભારતના નેવી અધિકારી જાધવને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાસૂસીના આરોપ હેઠળ 2017માં ફાંસીની સજા કરી હતી. ત્યારબાદ જાધવ માટે ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરીને પાકિસ્તાનની કોર્ટના આદેશને પડકાર્યો હતો. 2017ના મે માસમાં ભારતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરીને પાકિસ્તાને વિએના કોન્વેશનનો ભંગ કર્યાનું જણાવ્યું હતું. પાકિસ્તાને જાધવને રાજદૂતાવાસની મુલાકાત લેતા પણ અટકાવ્યો હતો.

વાંચોઃ ઇન્ટરનેશનલ કોર્ટમાં પાકિસ્તાનની કારમી હાર, કુલભૂષણ જાધવને ફાંસી આપવા પર સ્ટે

ક્યારે આવી શકે છે ચુકાદો

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસની રચના બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય કાનૂની વિવાદ ઉકેલવા થઈ હતી. તેમાં 10 સભ્યોની બેંચ છે. આ કોર્ટે જાધવની ફાંસી પર મનાઈ હુકમ આપ્યો હતો. ફેબ્રુઆરીની 18થી 21 જાહેર સુનાવણી કરવા ઠેરવ્યું હતું. જાધવના કેસનો ચુકાદો 2019ના ઉનાળામાં આવે તેવી શક્યતા છે. ભારત જાધવના હક્કોની રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું. પાકિસ્તાન તરફથી એટર્ની જનરલ અનવર મનસૂર દલીલો કરશે જ્યારે ડાયરેક્ટર જનરલ સાઉથ એશિયા મોહમ્મદ ફૈઝલ વિદેશી ઓફિસ તરફી રહેશે. અગાઉ ભારત અને પાકિસ્તાને સીજેઆઇમાં પોતપોતાનો પક્ષ રજૂ કરી દીધો હતો.

વાંચોઃ સુષ્મા સ્વરાજે કહ્યું, કુલભૂષણ આખા દેશનો દિકરો કોઈપણ કિંમતે બચાવીશું

ગત વર્ષે 21 મહિના બાદ જાધવની માતા-પત્ની સાથે થઈ હતી મુલાકાત

ડિસેમ્બર 2018માં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં કુલભૂષણ જાધવની તેની પત્ની અને માતા સાથે 21 મહિના બાદ મુલાકાત થઈ હતી. કુલભૂષણની માતા અને પત્ની સાથે 30 મીનિટની વાતચીત બાદ જાધવે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની વચ્ચે કાચની દિવાલ રાખવામાં આવી, જ્યારે તેમની સાથે વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર જેપી સિંહ પણ હાજર રહ્યા હતા.