નવી દિલ્હી: નેપાળની સંસદના બન્ને સદનો દ્વારા પાસ થયેલા નેપાળના નવા નક્શામાં ફેરફાર સંબંધિત સંશોધન વિધેયક (કોટ ઓફ આર્મ્સ)ને રાષ્ટ્રપતિ બિદ્યા દેવી બંડારીએ મંજૂરી આપી દીધી છે. આ સંશોધિત કાયદાના માધ્યમથી નેપાળ ભારતના ઉતરાખંડમાં કાલાપાની, લીપૂલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો વિસ્તાર ગણાવી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, આ વિધેયક નેપાળ સંસદના બન્ને સદનો, પ્રતિનિધિ સભા અને રાષ્ટ્રીય સભામાં સર્વ સમ્મતિથી પાસ કરવામાં આવ્યું. આજે ઉચ્ચ સદનમાં પાસ કરવામાં આવ્યું અને તેના થોડાક જ કલાકોમાં નેપાળના રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે.

ભારતીય વિદેશ મંત્રાયે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારત સરકાર પહેલેથી જ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. ભારત સરકારના સૂત્રોએ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે, નેપાળ આવું ચીનના ઉશ્કેરવા પર કરી રહ્યું છે.

આ પહેલા ભારત નવા નેપાળી નક્શાને નકારી ચૂક્યું છે અને કહ્યું હતું કે, નેપાળ સરકારના દાવામાં ન તો ઐતિહાસિક પુરાવા છે ન તો કોઈ તથ્યાત્મક આધાર છે.