એજન્સીઃ નેપાળમાં એક રોડ અકસ્માતમાં 13 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, નેપાળના રામેછાપ જિલ્લામાં થયેલા ભયંકર રોડ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. એએનઆઇએ પોલીસના હવાલાથી આ સમાચાર આવ્યા છે. 






સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે, રામેછાપથી કાઠમાંડૂના રસ્તામાં એક બસ દુર્ઘટનામાં 13 લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત આજે સવારે રામેછાપમાં થયો હતો. રામછાપના મુખ્ય જિલ્લા અધિકારી દીપક કુમાર પહાડીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં કેટલાય લોકોના મોત થયાના સમાચાર છે. તેમણે કહ્યું કે, બચાવ કામગીરી ચાલી રહી છએ અને અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 


તેમણે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. ઘટનાસ્થળે હાજર સુનાપતિ ગ્રામ નગરપાલિકાના ઉપાધ્યક્ષ ગીતા બિસ્તા ચૌલાગેને કહ્યું કે, લાશો એકઠી કરવામાં આવી રહી છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માત થયો ત્યારે બસમાં 40 જેટલા લોકો સવાર હતા.