વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધીમાં 10 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. જેમાં ભારતીય પત્રકાર બ્રહ્મ કાંચિભોટલાનો પણ સમાવેશ થાય છે. તેમના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.


પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “ભારતીય-અમેરિકન પત્રકાર શ્રી બ્રહ્મ કાંચિભોટલના નિધનથી ઊંડો આઘાત લાગ્યો. તેમને શ્રેષ્ઠ કામની સાથે ભારત અને અમેરિકાની નજીક લાવવાના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો માટે સંવેદના. ઓમ શાંતિ.”

ન્યૂઝ એજન્સી યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયામાં તેમની સેવા આપનારા જાણીતા ભારતીય-અમેરિકન પત્રકાર બ્રહ્મ કંચિભોટલાનું સોમવારે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં મોત થયું હતું. કોરોના વાયરસના કારણે અમેરિકાના ન્યૂયોર્કમાં સૌથી વધારે મોત થયા છે.

અમરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ છે. જ્યારે 12,800થી વધારે લોકોના મોત થયા છે. માત્ર ન્યૂયોર્કમાં જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,42,384 છે અને 5,400થી વધું લોકોના મોત થયા છે.