ભારત માટે એરસ્પેસ બંધ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથીઃ કુરેશી
abpasmita.in | 29 Aug 2019 07:55 PM (IST)
પાકિસ્તાન વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી દેશના એરસ્પેસને ભારત માટે બંધ કરવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન મોદી સરકાર પર સતત શાબ્દિક પ્રહારો કરી રહી છે. તે ઇન્ટરનેશનલ સ્તર પર ભારતને જુદુ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાને ભારત સાથે દ્ધિપક્ષીય સંબંધો ખત્મ કરી દીધા છે. હવે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે પાકિસ્તાન પોતાનું એરસ્પેસ ભારત માટે બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, પાકિસ્તાન તરફથી ભારત માટે એરસ્પેસ બંધ કરવાના અહેવાલો પર પાકિસ્તાન વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી દેશના એરસ્પેસને ભારત માટે બંધ કરવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પાકિસ્તાન ન્યૂઝપેપર ડોન સમાચારે આ જાણકારી આપી હતી. કુરેશીએ કહ્યું કે, યોગ્ય વિચાર વિમર્શ અને તમામ બાબતોનો અભ્યાસ કર્યા બાદ આ મુદ્દા પર નિર્ણય લેવાશે. વડાપ્રધાન ઇમરાન ખાનનો નિર્ણય અંતિમ હશે. વાસ્તવમાં ભારત માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરશે તેવી અટકળો ત્યારે વહેતી થઇ હતી જ્યારે કરાંચી જનારી તમામ ઇન્ટરનેશનલ ઉડાણો માટે ત્રણ માર્ગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.