Pakistan Army Business : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મુક્ત કરવામાં આવ્યા છે. પહેલા સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતે અને તેમની મુક્તિનો આદેશ આપ્યો. ત્યાર બાદ શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ઈમરાનને બે અઠવાડિયા માટે જામીન મળી ગયા હતાં. કહેવું ખૂબ જ સરળ લાગે છે, પરંતુ આ ચાર દિવસના ઘટનાક્રમના કારણે પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. એવો જ્વાળામુખી ફાટ્યો છે જેમાં સરકારથી લઈને સેના સુધીના મૂળિયા હલી ગયા છે. ઈમરાનના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સેનાના અધિકારીઓના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. ઈમરાન ખાન સતત સેના પર પ્રહારો કરી રહ્યા છે. તે આરોપ લગાવી રહ્યા છે કે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સેના તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કાવતરું કરી રહી છે.


પાકિસ્તાનની સેના હંમેશા શાસકને પોતાના ખોળામાં બેસાડીને તેની મરજી મુજબ સરકાર ચલાવવાનો પ્રયત્ન કરે છે. આમ થવા પાછળનું કારણ  છે વર્ષે અબજો કરોડોનો ખેલ. પાકિસ્તાની સૈન્ય મોટો બિઝનેસ ચલાવે છે, જેના પર માત્ર તેનો જ અધિકાર છે. કોઈ તાકાત તેને સ્પર્શી સુદ્ધા નથી શકતી. પાકિસ્તાનની રચના 14 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી. 75 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. શરૂઆતથી તે તેના દેશમાં 50થી વધુ મોટા વ્યવસાયો દ્વારા પૈસા કમાઈ રહી છે. આ દુનિયાની એકમાત્ર સેના છે, જે બિઝનેસ કરીને પોતાના ઓફિસરોના ઘર ભરે છે.


પાકિસ્તાની સેનાનું 8 શહેરો પર નિયંત્રણ 


પાકિસ્તાનની સેના શાહીન ફાઉન્ડેશન, આર્મી વેલફેર ટ્રસ્ટ, મિલિટરી ફાઉન્ડેશન અને બહરિયા ફાઉન્ડેશન હેઠળ તેના સામ્રાજ્યને વિસ્તારવા માટે વ્યવસાય કરે છે. કહેવામાં આવે છે કે, સેનાનો 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દેશની તમામ સૈન્ય પાંખો માટે ટ્રસ્ટ બનાવ્યા છે. તેમાં મિલિટરી ફાઉન્ડેશન, આર્મી વેલ્ફેર ટ્રસ્ટ અને શાહીન ફાઉન્ડેશન નિવૃત્ત સશસ્ત્ર દળોના કલ્યાણ માટે છે. આ ઉપરાંત નિવૃત્ત નૌકા અધિકારીઓ માટે બહરિયા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. વ્યવસાયમાંથી જે પણ કમાણી થાય છે તે તમામ શેરધારકોમાં વહેંચવામાં આવે છે.


પાકિસ્તાની સેનાનું 8 શહેરોમાં સારું એવું નિયંત્રણ છે. તેની પોતાની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી છે. જેમાં ઈસ્લામાબાદ, મુલતાન, ગુજરાંવાલા, બહાવલપુર, રાવલપિંડી, કરાચી, લાહોર, પેશાવર અને ક્વેટાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સેના કેન્ટ વિસ્તારમાં તેમજ પોશ વિસ્તારોમાં જમીન ફાળવે છે. તેમની પાસે 2 લાખ કરોડથી વધુની સંપત્તિ છે. આ જ કારણ છે કે, જ્યારે ઈમરાન સત્તામાં હતા ત્યારે 6 સૈન્ય અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમની સામે તપાસ ચાલી હતી.


PAK આર્મીના સ્વિસ બેંક ખાતામાં 80 હજાર કરોડ રૂપિયા


પાકિસ્તાનમાં કોઈપણ વડાપ્રધાનના કાર્યકાળને ધ્યાનમાં લીધા વગર સેના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. પરિસ્થિતિ પર નજર કરીએ તો જાણવા મળશે કે અત્યાર સુધી મેજર રેન્કથી ઉપરના લગભગ 72 આર્મી ઓફિસરોને ભ્રષ્ટાચારના મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2021માં ક્રેડિટ સુઈસ તરફથી એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન આર્મીના ઓછામાં ઓછા 25 રિટાયર્ડ ઓફિસરોના સ્વિસ બેંકમાં ખાતા છે. આ ખાતાઓમાં તેમની પાસે પુષ્કળ સંપત્તિ છે. લગભગ 80,000 કરોડ રૂપિયાની અઘોષિત રકમ છે. જેમાં પૂર્વ ISI ચીફ અખ્તર અબ્દુર રહેમાન ખાનના ખાતાની વાત કરવામાં આવી હતી, જેમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધુ જમા છે.