નવી દિલ્હીઃ ચંદ્રના લાખો કિલોમીટરની સફર પર નીકળેલા ભારતના ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટીથી માત્ર 2 કિલોમીટરના અંતર પર ગુમ થવા પર દેશ જ નહીં આખી દુનિયામાં લોકોમાં નિરાશ થયા છે. નિરાશાના માહોલમાં પણ પાકિસ્તાનના રાજકારાણીઓ ઝેર ઓકવામાંથી બાજ આવતા નથી. પાકિસ્તાન હાલમાં આર્થિક મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે તેમ છતાં ઇમરાનના મંત્રી અને નેતા પોતાના બફાટ કરીને પોતાની જ મુર્ખતા દુનિયાને બતાવી રહ્યા છે.


પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ચંદ્રયાન-2ને લઈને કટાક્ષ કરતી ટ્વીટ કરી છે. ફવાદના આ ટ્વીટ પર તેમને ભારત જ નહીં પાકિસ્તાનમાંથી પણ જડબાતોડ જવાબ મળ્યો. ટ્વિટમાં ચૌધરીએ લખ્યું કે, જે કામ આવડતું નથી, પંગો ના લેવો જોઇને......ડિયર ઇન્ડિયા. ફવદ ચૌધરીએ એક ભારતીય ટ્વીટ પર રિપ્લાય કરતાં લખ્યું કે સૂઇ જા ભાઇ ચંદ્રમાની જગ્યાએ મુંબઇમાં ઉતરી ગયું રમકડું. ફવાના આ ટ્વિટ  બાદ ટ્વિટર પર તેને લોકો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.


એક યુઝરે લખ્યું કે તમે પાકિસ્તાની લોકો માત્ર બકરીઓ અને ટામેટાના સપના જુઓ. જાઓ અને દુનિયાની દરેક રાજધાનીમાં ભીખ માગવાનું કામ ચાલુ રાખો. એક અન્ય યુઝરે પાકિસ્તાની વિદેશ મંત્રીને રાતના ત્રણ વાગ્યા સુધી જાગવા પર મજા લીધી. તેમણે લખ્યું કે સૌથી મજેદાર વાત એ છે કે ચંદ્રયાન-2એ ફવાદ ચૌધરીને આખી રાત જાગવા માટે મજબૂર કરી દીધા.

માત્ર ભારત જ નહીં ફવાના ટ્વીટ પર ખુદ પાકિસ્તાનીઓએ તેની ટીકા કરી છે. સુલેમાન લલવાનીએ લખ્યું કે પાકિસ્તાનની તરફથી માફી. ફવાદની ટ્વીટ દુર્ભાવનાથી પીડિત હતી. એક અન્ય પાકિસ્તાની સૈયદ બિલવાલ કમાલે લખ્યું કે ફવાદ ચૌધરી અમારા માટે શરમજનક કારણ ના બને. કમ સે કમ ભારતે ચાંદ પર ઉતરવાનો પ્રયાસ તો કર્યો. આપણે કોઇપણ દેશના વૈજ્ઞાનિક પ્રયાસની પ્રશંસા કરવી જોઇએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઇએ.