Pakistan Terrorist Attack In Gilgit Baltistan: આતંકવાદીઓએ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં કારાકોરમ હાઇવે પર એક પેસેન્જર બસ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 25 અન્ય ઘાયલ થયા. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા દિયામેરના ડેપ્યુટી કમિશનર આરિફ અહેમદે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સાંજે 6:30 વાગ્યે ચિલાસના હુદુર વિસ્તારમાં બની હતી, જ્યારે આતંકવાદીઓએ બસ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના કારણે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ સામેથી બસ આવી તે એક ટ્રક સાથે અથડાઈ.


પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના મુસાફરો દેશભરના હતા, જેમાં કોહિસ્તાન, પેશાવર, ઘીઝર, ચિલાસ, રાઉન્ડુ, સ્કર્દુ, માનસેહરા, સ્વાબી અને સિંધના એક કે બેનો સમાવેશ થાય છે. દિયામેરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બે સૈનિકો પણ સામેલ છે. તેમણે કહ્યું કે સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનો એક સભ્ય પણ ઘાયલ થયો છે.


ઘટના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું


ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દિયામેરના પોલીસ અધિક્ષક સરદાર શહરયારે જણાવ્યું કે કારાકોરમ હાઈવે (KKH) પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચનારા પ્રથમ હતા. તેમણે કહ્યું કે તેઓ મૃતદેહો અને ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ ગયા.


એસપીએ કહ્યું કે સ્થળ પર હાજર અન્ય વાહનોને કાફલાના રૂપમાં ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં હુમલો થયો હતો તે સ્થળને પુરાવા એકત્ર કરવા માટે કોર્ડન કરવામાં આવ્યું છે. મહિલાઓ અને બાળકો સહિત ઘાયલ લોકોને ચિલાસની પ્રાદેશિક મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


કોઈ આતંકવાદી જૂથે જવાબદારી લીધી નથી


ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો હતો કે, કોઈપણ જૂથે તરત જ હુમલાની જવાબદારી લીધી નથી અને ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી. મુખ્યમંત્રી હાજી ગુલબાર ખાને આ ઘટનાની નિંદા કરી હતી અને પેસેન્જર બસ પરના હુમલાને આતંકવાદનું કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું. તેમણે ઘટનાની સંપૂર્ણ તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા વર્ષ 2013માં કેટલાક આતંકીઓએ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પર્વતારોહકોના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 વિદેશીઓ માર્યા ગયા હતા.


પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાને નિંદા કરી


પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન અનવર-ઉલ-હક કક્કરે આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું કે, રાજ્ય વિરોધી તત્વોને ગિલગિટ બાલ્ટિસ્તાનની શાંતિને ભંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અમે આતંકવાદીઓ સામેની લડાઈ ચાલુ રાખીશું.