નવી દિલ્હીઃ ભારતે અમેરિકાને કોરોના વાયરસ સામે લડવા હાઇડ્રોક્લોરોક્વીન દવા મોકલ્યા બાદ અમેરિકાના વિદેશ વિભાગે ભારતને હાર્પૂન મિસાઈલો તથા માર્ક 54 ટારપીડો વેચવાના તેમના સંકલ્પ અંગે માહિતગાર કર્યા હતા. જેને લઈ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.


પાકિસ્તાન વિદેશ કાર્યાલયની પ્રવક્તા આઈશા ફારુકીએ પત્રકારોને જણાવ્યું કે, અમેરિકા દ્વારા ભારતને મિસાઈલ વેચવી પરેશાન કરનારું છે. ટેકનોલોજી મદદ અને અન્ય સામાનની સાથે આ પ્રકારની મિસાઈલ વેચવી પરેશાન કરી શકે છે. જ્યારે મહામારી સામે લડવા વૈશ્વિક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની ડીલ અયોગ્ય છે. તેનાથી દક્ષિણ એશિયાની સંવેદનશીલતા અસ્થિર થઈ જશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, કાશ્મીરી લોકોની ઈચ્છા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો મુજબ કાશ્મીર મુદ્દાનું સમાધાન થઈ શકે તે માટે વાતચીત કરવા ભારતે અનુકૂળ માહોલ બનાવવાની જરૂર છે.