PM Modi in G7 Summit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (16 જૂન, 2026) ફ્રાન્સના એવિયનમાં જી-7 નેતાઓની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અમેરિકન હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોતનો મુદ્દો ઉઠાવ્યો અને વિશ્વને સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને વૈશ્વિક એકતા ત્યારે જ અર્થપૂર્ણ બની શકે છે જ્યારે આપણે સહિયારા પડકારોનો સામનો સાથે મળીને કરીએ. તેમણે કહ્યું હતું કે ભારતનું માનવું છે કે દુનિયાના વિવિધ હિસ્સામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધોનો કાયમી ઉકેલ ફક્ત વાતચીત, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા જ શક્ય છે.

Continues below advertisement

બેઠકને સંબોધતી વખતે પીએમ મોદીએ શું કહ્યું?

Continues below advertisement

જી-7 સમિટ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રયાસોમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરે છે. આ સંઘર્ષથી પશ્ચિમ એશિયામાં આપણા મિત્ર દેશોને જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થયું છે. ઘણા ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, "ગ્લોબલ મેરિટાઈમ ટ્રેડના માધ્યમથી તમામ દેશોને જોડતા ખલાસીઓની સુરક્ષા આપણી જવાબદારી છે. આપણે ખાતરી કરવી જોઈએ કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને ખલાસીઓ ભય વિના પોતાનું કાર્ય કરી શકે."

આજની દુનિયા પહેલા કરતાં વધુ એકબીજા સાથે જોડાયેલી અને પરસ્પર નિર્ભર છે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, "આજની દુનિયા પહેલા કરતાં વધુ એકબીજા સાથે જોડાયેલી અને પરસ્પર નિર્ભર છે. કોઈ પણ દેશની ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, સાયબર સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ ફક્ત તેની સરહદોની અંદર જ નક્કી થતી નથી. ગતિશીલતા, ડેટા, મૂડી અને ટેકનોલોજી બધા આપણને જોડે છે." તેમણે કહ્યું, "આવા સમયમાં ભાગીદારીનું મહત્વ સ્વાભાવિક રીતે વધે છે, પરંતુ ભાગીદારી ત્યારે જ સફળ થાય છે જ્યારે વિશ્વાસ તેના મૂળમાં હોય છે. આજે સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ ખનિજો, ટેકનોલોજી અથવા બજારો નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "વિશ્વાસની ટેકનોલોજી અને સપ્લાય ચેઇનનો ઉપયોગ વૈશ્વિક હિત માટે થશે, શસ્ત્રો તરીકે નહીં." વિશ્વાસ પર આધારિત વિકાસની તકો થોડા દેશો સુધી મર્યાદિત રહેશે નહીં. વિશ્વાસની વૈશ્વિક સંસ્થાઓ બધા દેશોની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકશે.

કોવિડે આપણને અરીસો બતાવ્યો - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, "છેલ્લી સદીમાં માનવતાને બે વિશ્વયુદ્ધોનો સામનો કરવો પડ્યો. ઘણા બલિદાન પછી વિશ્વ સમુદાયે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે સિસ્ટમો વિકસાવી. આ સિસ્ટમોનો પાયો વિશ્વાસ હતો પરંતુ ઘણા દાયકાઓથી અને ઘણી પેઢીઓના યોગદાન દ્વારા બનાવેલ વિશ્વાસ આજે ક્ષતિગ્રસ્ત થઈ રહ્યો છે. કોવિડે આપણને બતાવ્યું કે વિશ્વાસ અને એકતાના દાવા કેટલા પોકળ હતા."

તેમણે કહ્યું હતું કે, "ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને કહ્યું હતું, 'Trust but Verify' આ આજે પણ સુસંગત છે. નવા યુગને અનુરૂપ, વિશ્વસનીય નિયમો પર આધારિત દુનિયા બનાવવાની આપણી ભાવિ પેઢીઓ પ્રત્યે જવાબદારી છે."