Sri Lanka Political Crisis:  આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે સર્વપક્ષીય સરકાર બનશે. જનઆક્રોશ અને દેશની સ્થિતિને જોતા છેલ્લા કેટલાક સમયથી રાજકીય પરિવર્તનની વાતો કરવામાં આવી રહી હતી અને રાષ્ટ્રપતિ ગોટાબાયા પર રાજીનામું આપવાનું સતત દબાણ હતું. આ દરમિયાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.






શનિવારે હજારો લોકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમનું નિવાસસ્થાન છોડીને ભાગવું પડ્યું હતું. રાષ્ટ્રપતિ ગોટાબાયા અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની માંગ કરવામાં આવી હતી, પરંતુ બંને રાજીનામું આપવા તૈયાર ન હતા.


પીએમઓ વતી એવું કહેવામાં આવ્યું હતું કે હવે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પક્ષના નેતાઓને કહ્યું છે કે તેઓ દેશના વડા પ્રધાન પદેથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેના ઘરે યોજાયેલી નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં રાષ્ટ્રપતિ અને પીએમને પદ પરથી હટાવવા પર ચર્ચા કરાઇ હતી.


સાંસદે ટ્વીટ કર્યું


વિક્રમસિંઘેની સરકારના સાંસદ રઉફ હકીમે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે નેતાઓએ પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામાની ઓફર કરી છે. જોકે, આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય સ્પીકર લેશે.


શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે


ઉલ્લેખનીય છે કે કે શનિવારે દિવસ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓ અચાનક શ્રીલંકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા દેશ છોડીને ભાગી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રીલંકાના લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મોંઘવારી ટોચ પર છે. લોકોની જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. લોકો આ માટે સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે.