નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં રવિવારે સાંજે ભારતીય સમય મુજબ 5.16 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ લોમબોકના ઉત્તરી ક્ષેત્રમાં જમીનની અંદર 10 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 82 લોકોના મોત થયા છે. અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.

ભૂકંપ બાદ જાહેર કરવામાં આવેલી સુનામીની ચેતવણી રદ કરી દેવામાં આવી છે. અગાઉ ભૂકંપમાં સુનામીની ચેતવણી જાહેર કરાઇ હતી. ભૂકંપથી બાલીના દેનપાસારમાં કેટલીક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. આ ઇમારતોમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને એરપોર્ટના ટર્મિનલને પણ નુકસાન પહોંચ્યુ છે.
ઇન્ડોનેશિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, શહેરમાં એવી ઇમારતોને વધુ નુકસાન પહોંચ્યુ છે જે જર્જરિત હતી.