Russia Ukraine War: યુક્રેનના મેરીયુપોલમાં રશિયન હુમલા બાદ રસ્તાઓ પર પડેલી લાશો પરથી તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઘણા દિવસોથી ભૂખ્યા લોકો હવે ખોરાકની શોધમાં દુકાનોના તાળા તોડી રહ્યા છે. તરસ છીપાવવા બરફ પીગાળીને પી રહ્યા છે. શહેરમાં રશિયન ગોળીબારના અવાજથી કંપી ઉઠતા હજારો લોકોએ જીવ બચાવવા બંકરમાં આશરો લીધો છે.


ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, ભોંયરામાં તેલના દીવાના પ્રકાશમાં મહિલાઓ અને બાળકો વચ્ચે રડતી ગોમા જાનાએ કહ્યું, 'હું કેમ ન રડું? મારે મારું ઘર પાછું જોઈએ છે, મારે મારી નોકરી પાછી જોઈએ છે. હું લોકો અને શહેર માટે દુઃખી છું.


મેરીયુપોલ શહેરની વસ્તી લગભગ 430,000 છે, અને રશિયન હુમલાના પરિણામે માનવતાવાદી કટોકટી વધુ ઊંડી બની રહી છે. મંગળવારે પણ અહીં ફસાયેલા લોકોને કોઈ રાહત મળી નથી. લોકોને બહાર કાઢવા અને સુરક્ષિત કોરિડોર દ્વારા ખોરાક, પાણી અને દવા પૂરી પાડવાના પ્રયાસો નિષ્ફળ ગયા. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન દળોએ કાફલો શહેરમાં પહોંચે તે પહેલા તેના પર ગોળીબાર કર્યો હતો.


રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને લગભગ બે સપ્તાહ વીતી ગયા છે. એઝોવ સમુદ્ર પર સ્થિત મેરીયુપોલ ઘણા દિવસોથી રશિયન સૈનિકો દ્વારા ઘેરાયેલું છે. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે જણાવ્યું હતું કે મેરીયુપોલમાં કટોકટીભરી સ્થિતિ છે.






રશિયા-યુક્રેન યુદ્ધના 300થી વધારે કલાક, દરેક દિવસ વીતવાની સાથે ખંડેર બની રહ્યા છે યુક્રેનના આ શહેર


 રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ આજે 14માં દિવસમાં પ્રવેશી ગયું છે. યુદ્ધને 300 કલાકથી વધુ સમય થઈ ગયો છે. રશિયાને રોકવા માટે દુનિયાભરના દેશો તમામ પ્રકારના પ્રતિબંધો લાદી રહ્યા છે, પરંતુ રશિયા પર તેની કોઈ અસર થાય તેવું લાગતું નથી. તે યુક્રેનના શહેરો પર સતત બોમ્બ અને મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. ખારકિવ બાદ યુક્રેનની રાજધાની કિવ પણ ખંડેરમાં ફેરવાઈ રહી છે. આવી જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે. મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.  


કિવ યુક્રેનની રાજધાની છે. 23 ફેબ્રુઆરી સુધી આ શહેર તેના વિકાસ અને સુંદરતા માટે પ્રખ્યાત હતું, પરંતુ રશિયન સૈનિકોના હુમલા, સતત બોમ્બમારાને કારણે અહીં સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. શહેરની ઘણી જાણીતી અને મહત્વની ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈને ખંડેર બની ગઈ છે. હજારો મકાનો ધરાશાયી થયા છે. ફ્લાયઓવરથી લઈને મહત્વના રસ્તાઓ તૂટી ગયા છે. લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે. શહેરમાંથી લાખો લોકોનું સ્થળાંતર થયું છે.


કિવ સિવાય રશિયન સૈનિકોએ યુક્રેનના અન્ય કેટલાક શહેરોને ખંડેર બનાવી દીધા છે. જે શહેરોને સૌથી વધુ નુકસાન થયું છે તેમાં ખારકિવ, બુકા અને ઇરપિનનો સમાવેશ થાય છે. અહીંની ઘણી ઈમારતો સંપૂર્ણપણે ખંડેર થઈ ગઈ છે. મોટાભાગના લોકો અહીંથી ચાલ્યા ગયા છે. બાળકોમાં ભયમાં છે. ખારકિવના ફ્રીડમ સ્ક્વેરને જોઈને જ ખંડેરનો અંદાજ લગાવી શકાય છે.