PM Modi-Zelenskyy Phone Talk: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકી અને પીએમ મોદીએ આજે ફોન પર વાતચીત કરી હતી. આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. વ્લોદિમિર ઝેલેન્સકીએ માનવતાવાદી સહાય અને સમર્થન માટે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો. 


ઝેલેન્સ્કીએ પીએમ મોદીએ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત અંગે જાણકારી આપતા ટ્વિટ્ કર્યું હતું કે- "મેં PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને G20ના સફળ પ્રમુખપદને લઈને શુભેચ્છા પાઠવી. આ મંચ પર મેં શાંતિ ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી અને હવે હું તેને લાગુ કરવા માટે તૈયાર છું. "હું ભારતની ભાગીદારી પર વિશ્વાસ કરું છું."


અગાઉ પણ ફોન પર વાત થઈ હતી


યુક્રેનના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રમાં માનવતાવાદી સહાય અને સમર્થન માટે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. વ્લોદિમિર ઝેલેન્સકીએ ટ્વિટમાં ઉમેર્યું હતું કે, "સંયુક્ત રાષ્ટ્રમાં માનવતાવાદી સહાય અને સમર્થન માટે મેં તેમનો પણ આભાર માન્યો." અગાઉ આ વર્ષની શરૂઆતમાં ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.


ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધનો કોઈ સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં અને ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાં સહયોગ આપવા તૈયાર છે. ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત દરમિયાન પીએમ મોદીએ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા અને મુત્સદ્દીગીરી અને સંવાદના માર્ગ પર પાછા ફરવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.


મોદી-ઝેલેન્સ્કી વાતચીત પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું ક, નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને દુશ્મનાવટનો જલ્દી અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગે આગળ વધવાની વાત કરી હતી.


પીએમ મોદીએ પુતિન સાથે પણ વાતચીત કરી હતી


આ અગાઉ 16 ડિસેમ્બરે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની વાતચીતમાં ડિપ્લોમસી દ્વારા મામલાને આગળ વધારવા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને જી-20ના ભારતના વર્તમાન પ્રમુખપદ વિશે પણ માહિતી આપી હતી.