શ્રીલંકામાં મોંઘવારીને કારણે દરેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિ પાસે એક જ માંગ છે કે તેઓ રાજીનામું આપે. હવે શ્રીલંકામાં એવી સ્થિતિ સર્જાઈ છે કે તેલ અને વીજળીના અભાવે સ્ટ્રીટ લાઈટો પણ બંધ થઈ ગઈ છે. 2020માં પેટ્રોલ 137 રૂપિયા પ્રતિ લિટર હતું જે આજે 254 પ્રતિ લિટરે પહોંચી ગયું છે. કઠોળનો ભાવ 2020માં 180 રૂપિયા પ્રતિ કિલો હતો જે આજે વધીને 420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ખાદ્ય તેલની પણ આ જ સ્થિતિ છે. 480 પ્રતિ લિટર તેલ 2 વર્ષમાં 870 પ્રતિ લિટર થઈ ગયું છે. આ સિવાય શ્રીલંકામાં એક કિલો સફરજનનો ભાવ 1 હજાર રુપિયા પર પહોંચી ગયો છે. શ્રીલંકાની નાદારી માટે સરકારની ખોટી નીતિઓ સૌથી વધુ જવાબદાર છે. જેમાં એક મોટી ભૂલ એ પણ લોકોને આકર્ષવા માટે ફ્રી ગેમ છે, આ ગેમ ભારતમાં પણ ઝડપથી વધી રહી છે.


કઈ રીતે દેવાદાર અને પછી કંગાળ બન્યું શ્રીલંકા


શ્રીલંકા કંગાળ બનવાના કારણ જોઈએ તો તેમાં ઘણા મુદ્દાઓ આવે છે. સાથે જ શ્રીલંકાની સરકારોની એવી નીતિઓ પણ આ સ્થિતિ માટે જવાબદાર છે જેનાથી ભવિષ્યમાં આ સ્થિતિનું નિર્માણ થશે તેનો અંદાજ પણ સરકાર ના લગાવી શકી. શ્રીલંકા કંગાળ થવા માટેનું મુખ્ય કારણ સરકારની ખોટી નીતિઓ પ્રથમ આવે છે. જેમાંની સરકારની સૌથી મોટી ભૂલ લોકોને મફત સેવાઓ અને વસ્તુઓ આપવાની યોજનાઓ છે. 
1. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર છે.
2. કોરોના મહામારી આવતાં પર્યટન ઉદ્યોગ બંધ પડી ગયો જેથી સરકારની આવક ઘટી
3. શ્રીલંકામાં થતા ભ્રષ્ટાચાર પર સરકારે કોઈ કામ ના કર્યું.
4. સરકારે રાસાયણિક ખાતર પર પ્રતિબંધ મુકતાં ખેત પેદાશોનું ઉત્પાદન ઘટી ગયું.
5. અનાજનું પુરતા પ્રમાણમાં ઉત્પાદન ના થતાં મોંધવારી વધી ગઈ. 
6. પર્યટન ઉદ્યોગ અને ઉત્પાદન બંને બંધ થઈ જતાં વિદેશી મૂડીનો ભંડાર ખાલી થઈ ગયો.
7. કડક શરતોને આધીન ચીન પાસેથી લીધેલી લોન શ્રીલંકા ના ચૂકવી શક્યું
8. ગુસ્સે થયેલી જનતાને મનાવવા માટે વસ્તુઓ મફત આપવાની યોજનાથી કંગાળ થયું


ICUમાં પહોંચી ગઈ શ્રીલંકાની અર્થવ્યવસ્થાઃ
એપ્રિલ 2021માં દેવું 3500 કરોડ ડોલર
એપ્રિલ 2022માં દેવું 5100 કરોડ ડોલર



એપ્રિલ 2021માં શ્રીલંકાનું કુલ દેવું 3500 કરોડ ડોલર હતું. જે પછી ફક્ત એક જ વર્ષમાં વધીને 5100 કરોડ ડોલર પર પહોંચી ગયું હતું. શ્રીલંકાના દેવાના કુલ ભાગમાં મોટા ભાગે એવા દેવાનો સમાવેશ થાય છે જેને ચુકવવા માટે શ્રીલંકાએ મોટી કિંમત ચૂકવવી પડશે. શ્રીલંકા સરકારે દેવું લઈને ઘણા જલસા કર્યા પણ જ્યારે આ દેવું ચુકવવાનો સમય આવ્યો ત્યારે ખજાનો ખાલી થઈ ગયો હતો. જનતા રસ્તા પર આવી ગઈ હતી. વિપક્ષ પણ લોકો સાથે રસ્તા પર આવીને વિરોધ કરી રહ્યો છે.