ઈસ્લામાબાદ: દુનિયાભરમાં એકલા પડી ગયેલા પાકિસ્તાને આખરે આતંકવાદીઓ સામે કથિત કાર્યવાહી શરૂ કરી દીધી છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠનોના 44 સભ્યોને કસ્ટડીમાં લેવાયા છે અને તેમાં જૈશ-એ-મોહમ્મદ ચીફ આતંકવાદી મસૂદ અઝહરનો ભાઈ પણ સામેલ છે. આતંકવાદી મસૂદના ભાઈ મુફ્તી અબ્દુર રઉફ અને હમાદ અઝહરની પણ ધરપકડ કરાઈ છે. આ વાત પાકિસ્તાનના મંત્રી શહરયાન ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવી છે.




ઈન્ટિરિયર મિનિસ્ટ્રીએ જૈશ-એ-મોહમ્મદ સહિતનાં અનેક સંગઠનોના કુલ 44 આતંકીઓની ધરપકડ કરી છે. જોકે, અમુક અહેવાલો પ્રમાણે આ તમામને ફક્ત અટકાયતમાં લેવાયા છે. આ 44 આતંકીમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અસગરનો પણ સમાવેશ થાય છે.



મંત્રી શહરયારે કહ્યું હતું કે, ભારત દ્વારા સોંપાયેલા ડોઝિયરમાં મુફ્તી અબ્દુર રઉફ અને હમાન અઝહરનું નામ પણ હતું. જોકે, તેમણે કહ્યું હતું કે, આ કાર્યવાહી કોઈ દબાણમાં કરવામાં આવી નથી. મંત્રીએ કહ્યું હતું કે, આવા બધાં જ સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ પાકિસ્તાને એક કાયદામાં ફેરફારનો આદેશ જારી કર્યો હતો. તે અંતર્ગત હવે યુએન દ્વારા લિસ્ટેટ આતંકવાદીઓ અને પ્રતિબંધિત સંગઠનો સામે કાર્યવાહી કરવાનો દાવો કરવામાં આવ્યો છે.



પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે, સરકારે બધાં પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિઓને સરકારના નિયંત્રણમાં લઈ લીધી છે. પાકિસ્તાન તરફથી જણાવાયું હતું કે, 1948ના સુરક્ષા પરિષદના અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું હતું કે, કાયદામાં ફેરફાર કરી ટૂંક સમયમાં જ આતંકવાદીઓ અને તેમના સંગઠનોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.