નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં અધિકારીઓએ ભારતના પુરવામાં આતંકી હુમલા માટે જવાબદાર સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના દીકરા અને ભાઈ સહિત પ્રતિબંધિત આતંકી સંગઠનોના 44 સભ્યોની મંગળવારે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર પુલવામા હુમલા પછી પાકિસ્તાન ભારે આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહ્યું હોવાથી હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકના આકાઓ સામે પગલાં લઈ રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાને દાવો કર્યો હતો કે પુલવામા હુમલા પછી તેમણે જૈશ-એ-મોહમ્મદ જેવાં પ્રતિબંધિત સંગઠનો સામે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે.




આ ઉપરાંત ઈન્ટિરિયર મિનિસ્ટ્રીએ જૈશ-એ-મોહમ્મદ સહિતનાં અનેક સંગઠનોના કુલ 44 આતંકીઓની ધરપકડ કરી છે. જોકે, અમુક અહેવાલો પ્રમાણે આ તમામને ફક્ત અટકાયતમાં લેવાયા છે. આ 44 આતંકીમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અસગરનો પણ સમાવેશ થાય છે.



હાફિઝની સંસ્થાઓ પાકિસ્તાનમાં 300 જેટલી ધાર્મિક શિક્ષણ સંસ્થા તથા સ્કૂલ, હોસ્પિટલ, પ્રકાશન ગૃહ અને એમ્બ્યુલન્સ સેવા ચલાવે છે. પાકિસ્તાનમાં અગાઉ પણ તેમના ઉપર પ્રતિબંધની કાર્યવાહી થતી રહી છે પણ તે સરકાર વિરુદ્ધ કોર્ટમાં જઈને છૂટી જાય છે. હાફિઝને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરીને 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરાયું છે.