નવી દિલ્હીઃ અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના મોત બાદ થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ સામે મહાત્મા ગાંધીના પ્રતિમાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે. જેને લઈ અમેરિકાએ માફી માંગી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.


ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે ટ્વિટર પર લખ્યું, "વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમાની હાલત જોઈ દુખ થયું. અમારી ઈમાનદાર માફીનો સ્વીકાર કરો."


અમેરિકન અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના નિધન બાદ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ સામે આવેલી ગાંધીજીની પ્રતિમાને તોડવાની કોશિશ કરવામાં આવી હતી. કેટલાક દેખાવકારોએ મૂર્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. જે બાદ દૂતાવાસે તંત્રનો સંપર્ક કર્યા બાદ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારે વોશિંગ્ટન ગયા હતા ત્યારે તેમણે અહીંયા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ તેના સમર્થનમાંપરિવારના સભ્યો સહિત હજારો લોકો ન્યાય આપવાની માગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા કરફ્યુ અમલમાં મુક્યો હોવા છતાં દેખાવકારોને અટકાવવા પડકારજનક બની રહ્યા છે.