USની ચેતવણી- આતંકી મસૂદની ઢાલ ના બને ચીન, પ્રતિબંધ પર UNSCમાં આવ્યો નવો પ્રસ્તાવ
abpasmita.in | 28 Mar 2019 10:04 AM (IST)
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના ગુનેગાર અને જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના ભારતના મિશનને સફળતા મળી શકે છે. ચીન દ્ધારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વાંધો ઉઠાવ્યા બાદ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને જાતે જ આગળ વધીને કામ કરવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય દેશ હવે ચીનને પાછળ છોડી અન્ય સભ્ય દેશો સાથે પ્રસ્તાવ પર વાત કરશે અને સમિતિ પર દબાણ બનાવશે. તે સિવાય અમેરિકન વિદેશ મંત્રી ચીનના બેવડા વલણને લઇને ટીકા કરી છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી ભારતને સમર્થન મળી રહ્યું છે. ત્યારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને UNSCમાં મસૂદ વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યો હતો પરંતુ ચીનના અડંગાને કારણે તે સમયે સફળતા મળી નહોતી. હવે ફરીવાર ત્રણેય દેશ પ્રસ્તાવના ડ્રાફ્ટ સાથે આગળ વધી રહ્યા છે. આ પ્રસ્તાવ UNSCના તમામ 15 સભ્યોને આપવામાં આવ્યો છે અને સહમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રસ્તાવ પર દેશોની સહમતિ બને છે તો મસૂદના પ્રવાસ પર પ્રતિબંધ, સંપત્તિ સીઝ હોવા જેવી કાર્યવાહીઓ થઇ શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ટ્વિટ કરી કહ્યું હતું કે, એક તરફ ચીન પોતાના દેશમાં મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યું છે તો બીજી તરફ એક ઇસ્લામિક આતંકી સંગઠનની સંયુક્ત રાષ્ટ્રમાં રક્ષા કરી રહ્યું છે.