ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારત સામે નવો મોરચો ખોલતાં પોતાનો નવો નકશો જાહેર કર્યો તેમાં ગુજરાતનાં કેટલાંક શહેરોને પણ પોતાનો પ્રદેશ તરીકે દર્શાવ્યાં છે. પાકિસ્તાને પોતે પચાવી પાડેલા કાશ્મીર ( પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર-પીઓકે)ને તો પોતાનો ભાગ દર્શાવ્યો જ છે પણ સાથે સાથે જૂનાગઢ, માણાવદર અને બાંટવા એ ત્રણ શહેરો તથા આસપાસના ગુજરાતના પ્રદેશો  પર પણ દાવો કર્યો છે. પાકિસ્તાને  પાકિસ્તાનથી ભૌગોલિક રીતે દૂરના પ્રદેશને પણ પોતાનો ભાગ ગણાવ્યા તેના કારણે પાકિસ્તાનની મૂર્ખામી છતી થઈ છે.


પાકિસ્તાને નવા રજૂ કરેલા નકશામાં કચ્છ સરહદે આવેલી ખાડી સીર ક્રીકને પણ પોતાનો પ્રાંત ગણાવ્યો છે. નવા નકશામાં જમણી તરફ ખૂણામાં બે અલગ વિભાગ દ્વારા સીર ક્રીક અને જૂનાગઢ-માણવાદર પોતાના હોવાનું પાકિસ્તાને સાબિત કરવા નિરર્થક પ્રયાસ કર્યો છે.

ઈમરાન ખાન કેબિનેટની મંગળવારે મળેલી બેઠકમાં આ નકશો મંજૂર કરવામાં આવ્યો છે.  હવે આખા પાકિસ્તાનમાં આ નવો નકશો મોકલી આપવામાં આવશે અને પાકિસ્તાનની શાળાઓમાં પણ આ નકશો ભણાવાશે.  થોડા દિવસ પહેલાં નેપાળે પણ આ રીતે ભારતનો કેટલોક ભાગ પોતાનો પ્રદેશ ગણાવીને નવા નકશા તૈયાર કરી આ નકશા આખા દેશમાં વહેંચ્યા છે.

ભારતે આ દાવાને ફગાવતાં પાકિસ્તાનનો પ્રયાસ હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવો દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય નથી. પાકિસ્તાન માત્ર નકશા પર પોતાનો પ્રદેશ વિસ્તારવામાં લાગી પડયું છે ત્યારે આ પ્રકારનો નકશો કોઈ રીતે માન્ય ગણી શકાય નહીં. ભારતે કહ્યુ હતુ કે પાકિસ્તાનનો આતંકવાદને સમર્થન આપવાનો નવતર પ્રયાસ છે, જે નિરર્થક સાબિત થશે.