નવી દિલ્હીઃ કોરોના મહામારીના આ સમયમાં સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે. કોરોનાને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પણ દરરોજ ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. હવે WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોનાના હાલના કેસની સંખ્યા કરતાં અનેક ગણાં લોકો સંક્રમિત થઈ શકે છે. સોમવારે WHOના ઇમર્જન્સી સ્વાસ્થ્ય સેવાના પ્રમુખ ડો. માઈકલ રેયાને કહ્યું કે, તેમના અંદાજ અનુસાર વિશ્વમાં દર 10માંથી એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી જેટલા પણ કેસ સામે આવ્યા છે તેના કરતાં 20 ગણા વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.


નોંધનીય છે કે, વિશ્વની જનસંખ્યા 7.6 અબજની આસપાસ છે. એવામાં ડોય રેયાનના અંદાજ અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 76 કરોડ લોકોને કોરોનાની ઝપેટમાં આવી ગાય છે. જ્યારે હાલમાં કોરોનાના કેસની સંખ્યા 3.5 કરોડ છે. અનેક નિષ્ણાંતોએ પણ ડો. રેયાનના મૂલ્યાંકન સાથે સહમતિ દર્શાવી છે. આ નિષ્ણાંતોનું પણ માનવું છે કે વાસ્તવમાં જેટલા કેસ કહેવામાં આવી રહ્યા છે તેનાથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

ડો. રેયાને એ પણ કહ્યું કે, સાઉથ-ઈસ્ટ એશિયામાં કોરોનાના કેશમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જ્યારે યૂરોપ અને પૂર્વ ભૂમધ્ય-સાગરીય વિસ્તારમાં કોરોનાથી વધારે મોત થઈ રહ્યા છે. જ્યારે આફ્રીકા અને પશ્ચિમી પ્રાંતમાં સ્થિતિ થોડી સારી છે. ડો. રેયાન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, કોરોનાનો પ્રકોપ ઘટવાનું નામ નથી લઈ રહ્યો જેના કારણે વિશ્વમાં હવે પહેલા કરતાં વધારે સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સાવચેતી રાખીને જરૂર આપણે આ મહામારી સામે જીતી શકીએ છીએ. તેમણે ભાર મુક્યો કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને સામાજિક અંતરનું પૂરું ધઅયાન રાખવું જોઈએ જેથી લોકોના જીવ બચાવી શકાય.

WHO દ્વારા તપાસને ઝડપથી વધારવાની જરૂરત પણ હોવાનું કહેવામાં આવ્યું છે. તેની સાથે જ કહ્યું છે કે, લોકોને યોગ્ય સમયે સારવાર મળવી પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે જ આ ખતરનાક વાયરસથી છૂટકારો મળી શકશે. વર્લોડમીટર અનુસાર વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાડા ત્રણ કરોડથી વધારે થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 10 લાખથી વધારે છે.