નવી દિલ્હી: દેશમાં  કોરોના કેસની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે. જેના પગલે ધીરે ધીરે રાજ્યોમાં સિનેમા હોલ ખોલવામાં આવી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં 50 ટકા દર્શકો  તો કેટલાક રાજ્યોમાં 100 ટકા  દર્શકો સાથે  સિનેમા ઘર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.


કેરળ સરકારે રાજ્યમાં મંગળવારે થિયેટર ખોલવાની મંજૂરી આપી છે. કેરળમાં 50 ટકા દર્શકો સાથે થિયેટર ખોલવાની મંજૂરી અપાઇ છે. રાજ્ય સરકરાના આ નિર્ણયથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રાહત મળી છે. જોકે મહામારીના કારણે કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક રહેશે.

તમિલનાડુમાં પુરી દર્શક ક્ષમતા સાથે ખુલ્યા થિયેટર

તમિલનાડુ સરકારે સોમવારે થિયેટર પર લાગેલી 50 ટકાની સીમાને હટાવી છે અને પુરી ક્ષમતા સાથે સિનેમા ઘર ખોલવાની મંજૂરી આપી છે. આ પહેલા રાજ્યમાં 50 ટકા દર્શકો સાથે સિનેમા ઘર ખોલવાની મંજૂરી મળી હતી. લગભગ 9 મહિના બાદ તમિલનાડુમાં રાબેતા મુજબ સુચારૂ રીતે થિયેટર શરૂ થશે. થિયેટરમાં કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
ઓડિશા સરકારે પણ 1 જાન્યુઆરીથી 50 ટકા દર્શકો સાથે થિયેટર ખોલવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ પણ થિયેટર ન હતા ખોલાયા. પશ્ચિમ બંગાળમાં  સિંગલ સ્ક્રિન થિયેટરનામાલિકોએ સરકાર પાસેથી 100 ટકા દર્શકો સાથે સિનેમા ઘર ખોલવાની મંજૂરી માંગી છે.

ઓક્ટોબરમાં સરકારે થિયેટર ખોલવાની આપી હતી મંજૂરી

ઉલ્લેખનિય છે કે, અનલોક 5માં ઓક્ટોબર માસમાં કેન્દ્ર સરકારે થિયેટર ખોલવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં 50 ટકા દર્શકો સાથે થિયેટર  ખોલવામાં આવ્યાં હતા.  સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સહિતના નિયમો સાથે થિયેટર ખોલવામાં આવ્યા હતા.