Weather Updates: દુનિયામાં દિવસે દહાડે ગરમીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક દાયકાઓથી તેની અસર વર્તાઈ રહી છે અને હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર હીટ વેવનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. હવે એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારત આ પ્રકારની તીવ્ર ગરમીના મોજાનો સામનો કરનાર વિશ્વનો પહેલો દેશ હશે જે લોકોની સહનશીલતાની મર્યાદા બહાર હશે. 


'ભારતમાં કૂલિંગ સેક્ટરમાં ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ' શીર્ષક ધરાવતા વર્લ્ડબેંકના અહેવાલમાં જણાવાયું છે કે, દેશ પહેલા કરતા વધુ ગરમીના મોજાનો અનુભવ કરી રહ્યો છે, જે નિર્ધારીત સમય કરતા વહેલા શરૂ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે.


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2022માં ભારત સમય કરતા વહેલા લૂનો ભોગ બન્યો હતો. રાજધાની નવી દિલ્હીમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. માર્ચ મહિનામાં તાપમાનમાં એકાએક ફેરફાર જોવા મળ્યો હતો. જે ઇતિહાસમાં સૌથી ગરમ માર્ચ મહિનો તરીકે નોંધાયોહતો. આ અહેવાલ તિરુવનંતપુરમમાં કેરળ સરકાર અને વર્લ્ડબેંકની બે દિવસીય 'ઈન્ડિયા ક્લાઈમેટ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનર્સ' બેઠકમાં રજુ કરવામાં આવશે.


લૂ ને લઈને IPCCના રિપોર્ટમાં ચેતવણી


રિપોર્ટમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ટૂંક સમયમાં ભારતમાં ગરમીના મોજાનો પ્રકોપ એ હદનો રહેશે જે માનવની સહનશક્તિને પાર કરી જશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટ 2021માં ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના છઠ્ઠા મૂલ્યાંકન રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ભારતીય ઉપમહાદ્વીપ આગામી દાયકામાં હજી વધારે અને અસહ્ય હીટવેવનો સામનો કરશે. 


આ આંકડા થથરાવી દેશે


રિપોર્ટ અનુસાર, G20 ક્લાઈમેટ રિસ્ક એટલાસએ 2021માં પણ ચેતવણી આપી હતી કે, જો કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વધુ રહેશે તો 2036 થી 2065ની વચ્ચે સમગ્ર ભારતમાં હીટવેવ 25 ગણી લાંબી ચાલે તેવી શક્યતા છે. આ મૂલ્યાંકન IPCCના સૌથી ખરાબ-કેસ ઉત્સર્જન પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.


વધતી ગરમીની શું અસર થશે? 


રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ભારતમાં વધતી ગરમીને કારણે આર્થિક ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના કર્મચારીઓના 75 ટકા એટલે કે લગભગ 38 કરોડ લોકો એવા વિસ્તારોમાં કામ કરે છે કે જ્યાં તેમને ગરમ વાતાવરણમાં રહેવું પડે છે. ક્યારેક તો તેમને જીવલેણ તાપમાનમાં કામ કરવું પડતુ હોય છે. ગરમીના તાણથી સંબંધિત ઉત્પાદન ક્ષમતામાં ઘટાડાના કારણે 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 80 મિલિયન નોકરીઓ ગુમાવવી પડે તેવો અંદાજ છે. તેમાંથી 3.4 કરોડ નોકરીઓ ભારતમાં જશે.


ગરમીના કારણે કામના કલાકો વેડફાય છે


અહેવાલ અનુસાર, દક્ષિણ એશિયાના દેશોમાં ભારે શ્રમ પર ગરમીની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી છે, જ્યાં એક વર્ષમાં ગરમીના કારણે 101 અબજ કલાકનો વ્યય થાય છે. વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ, મેકકિન્સે એન્ડ કંપનીનું વિશ્લેષણ દર્શાવે છે કે, વધતી ગરમી અને ભેજને કારણે શ્રમનું નુકસાન આ દાયકાના અંત સુધીમાં ભારતના કુલ જીડીપીના 4.5 ટકા અથવા લગભગ 150-250 અબજ ડોલર જોખમમાં હશે. કંપનીએ કહ્યું હતું કે, ભારતની લાંબા ગાળાની ખાદ્ય સુરક્ષા અને સાર્વજનિક સ્વાસ્થ્ય સુરક્ષા એક વિશ્વસનીય કોલ્ડ ચેઇન પર નિર્ભર રહેશે?