CM રૂપાણીના ઘર અને ચોટીલાના ડુંગરમાં બોમ્બ રાખવામાં આવ્યા હોવાની મળી ધમકી, ISISના નામે પત્ર મળતા પોલીસમાં દોડધામ
ચોટીલા ડુંગર ટ્રસ્ટની તળેટીમાં આવેલ ઓફિસમાં ગુરુવારે બપોરે વસંતગિરિ ધીરજગીરી ગોસાઇને આ પત્ર વાંચી ચોંકી ઉઠ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરી હતી. ચોટીલાના પીએસઆઈ પી.જી.ગોહિલ, એસઓજીના પીએસઆઈ આર. એમ. ચુડાસમા, પ્રાંત અધિકારી ડામોર સહિત એફએસએલ ટીમ તથા સુરેન્દ્રનગરથી બોમ્બ સ્કવોર્ડ ડુંગર ઉપર ધસી આવી હતી.
તળેટીમાં આવેલા ડુંગર ટ્રસ્ટના ભોજનાલય અને અતિથિ ગૃહમાં પણ બોમ્બ સ્કવોર્ડ ટીમ દ્વારા ખૂણે ખૂણે તપાસ કરાઇ હતી. જ્યારે રાજકોટથી ડોગ સ્કોડની ટીમે પણ ડુંગર ઉપર તથા સમગ્ર તળેટી વિસ્તારમાં ડોગ દ્વારા તપાસ કરી હતી. પરંતુ કશુ જ વાંધાજનક મળી ના આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પત્રમાં લખ્યું હતું કે, મેને વિજય રૂપાણી કે ઘર મે બોમ્બ રખે હે, મે cm કો માર દૂંગા. આ પત્રની ધમકીના કારણે પોલીસ દ્વારા રાજ્યના કંટ્રોલ રૂમને પણ જાણ કરવામાં આવી હતી.
ચોટીલાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરમાં બોમ્બ મુક્યાનો પત્ર મળતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ડુંગર ટ્રસ્ટની ઓફિસમાં સાયલાથી પોસ્ટ દ્વારા બંધ કવરમાં મળેલા આ પત્રમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાન સિવાય ચોટીલાના પ્રસિદ્ધ ચામુંડા માતાજીનાં ડુંગરમા પર 18 બોમ્બ રાખ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી.
આઈએસઆઈએસના એજન્ટના નામે લખવામાં આવેલો આ પત્ર મળતાની સાથે જ ચોટિલા સહિતની પોલીસ દોડતી થઇ ગઇ હતી અને પોલીસ ડોગ સ્કવોડ, એફએસએલ, એસઓજીની ટીમે ડુંગર ઉપર તથા તળેટી વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. પરંતુ કશુ ન મળતા રાહતની લાગણી ફેલાઇ છે.
વધુમાં ધમકી આપતા લખ્યુ હતું કે, સબ મારે જાયેંગે.. મે સબકો માર દૂગા.. મે આતંકવાદી હું મે ISIS કા એજન્ટ હ઼ું. મેને ડુંગર પર 18 બોમ્બ રખે હૈ કુછ દેર મે ફટેગે સબ મર જાયેંગે. મેરા નામ ધીમંત નિમાવત ડોન હૈ મે સાયલા મે રહેતા હું. મે ડોન હું મે સબકો માર દૂંગા. જ્યારે આ પત્રના અંતે ISIS જિંદાબાદ અને પાકિસ્તાન જિંદાબાદ લખવામાં આવ્યું હતું.