ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે રાજકોટના રાજવી મનોહરસિંહજી દાદાની અંતિમયાત્રા, 9 ગનની અપાશે સલામી
રાજવી મનોહરસિંહને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવશે. જેમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પાર્થિવદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે, ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે દાદાની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલા રણજીત વિલાસ પેલેસ ખાતે 9 ગનની સલામી આપવામાં આવશે. આ અંતિમયાત્રા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી, ઢેબરરોડ થઇ ત્યાંથી ત્રિકોણબાગ લાખાજીરાજ પ્રતિમા ખાતે આશીર્વાદ મેળવી હાથિખાના થઇ રામનાથપરા સ્મશાન ખાતે લઇ જવામાં આવશે.
ગુરુવારે રાતે રાજકોટના રાજવી મનોહરસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ રોયલ પેલેસ ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા સમયથી અલઝાઇમર નામની બિમારીથી પીડિત હતા. પરિવારના તમામ સભ્યોને રાજકોટ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે.
રાજકોટ: રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણામંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે 83 વર્ષની વયે રણજિતવિલાસ પેલેસ ખાતે નિધન થયું છે. તેઓની સ્મશાનયાત્રા શુક્રવારે પેલેસ ખાતેથી જ નીકળશે અને રામનાથપરા જશે તેમ રાજવી પરિવારે જણાવ્યું હતું. મનોહરસિંહજી જાડેજા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેઓની રણજિતવિલાસ પેલેસ ખાતે જ સારવાર કરવામાં આવતી હતી. સવારે 8 વાગ્યેથી 10 વાગ્યા સુધી મનોહરસિંહજીના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.