ખોડલધામમાં 21 જાન્યુઆરીએ સર્જાશે દેશભક્તિનો આ અનોખો વર્લ્ડરેકોર્ડ, મોદી હાજર રહે તેવી શક્યતા
ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મંદિરના ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે, મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોઇ સતાવાર જાહેરાત કરાઇ નથી.
રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 17મી જાન્યુઆરીથી લઇને 21મી જાન્યુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, ૨૧મીએ સવારે ત્રણ લાખથી વધુ લોકો ભેગા થઈને રાષ્ટ્રગાન કરશે અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે.
આ મહોત્સવ લેઉવા પટેલ સમાજની સાથે સમગ્ર દેશનું ગૌરવ વધારનાર બની રહેશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે અગાઉ સામૂહિક રીતે સૌથી વધુ લોકો એકઠા થઇ રાષ્ટ્રગાન ગાવાનો રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો જ્યાં ૨.૫૦ લાખથી વધુ લોકોએ સામૂહિક રાષ્ટ્રગાન ગાઇને ગ્રિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
મંદિરના ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે, સમાજના સભ્યોને કોર્ટ-કચેરીના ધક્કામાંથી બચાવવા ખોડલધામના નેજા હેઠળ સમાધાન પંચ રચવામાં આવશે. આ મંદિર ધાર્મિક સ્થળની સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે.
બીજી તરફ ગુજરાતના ૩૫૦૦થી વધુ ગામડાઓમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે રથ ફેરવવામાં આવ્યો હતો અને માતાજીએ સામે ચાલીને ભક્તોને આમંત્રણ પાઠવ્યા હતા. આ રથ ૧.૩૫ લાખ કિમીનું પરિભ્રમણ કરીને મહોત્સવના પ્રથમ દિવસ ૧૭મીએ પરત ફરશે, જે એક રેકોર્ડ નોંધાશે.
ખોડલધામ ટ્રસ્ટના સહમંત્રી દિનેશ પટેલ અને નરસિંહ પટેલે જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજ અનેક વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યો છે. એક જ સમાજના સભ્યો ૧૦૦૮ કુંડી યજ્ઞ કરી રહ્યા છે, જેનો રેકોર્ડ એશિયા બુકમાં નોંધાશે.