કાગવડના ખોડલધામની આ છે તસવીરો, કોતરણી જોઈને થઈ જશો દંગ, 17મીથી છે ભવ્ય મહોત્સવ
મંદિરમાં ગણપતિ અને હનુમાનજી સહિત કુલ 21 મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં મુખ્ય ખોડિયાર માતાજીની 6 ફૂટની મૂર્તિ રહેશે જ્યારે રાધાકૃષ્ણ, રામદરબાર, અંબાજી, બહુચરાજી, મહાકાળી, અન્નપૂર્ણા, આશાપુરા સહિતની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 17મી જાન્યુઆરીથી મહોત્સવનો પ્રારંભ થશે અને 21મી બપોર સુધી ચાલશે. 21મી જાન્યુઆરીએ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.
કુલ 72 પથ્થરોમાં 280 જેટલા પ્રસંગો કંડારવામાં આવ્યા છે. ખોડલધામ મંદિરમાં મુખ્ય ત્રણ મળી કુલ નવ દરવાજાનો સમાવેશ થાય છે. મંદિરના બહારના ભાગે વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, દ્વારપાલ, નર્તકી, દશાવતાર, વ્યાલ સહિત 600 જેટલી મૂર્તિઓ લગાવામાં આવી છે.
મંદિરમાં હાથીઓના સમૂહની મુર્તિઓ-ગજથર, ઘોડાઓના વિવિધ મુદ્રાઓના સમૂહની મૂર્તિઓ, અશ્વથર, રામાયણના પ્રસંગો, મહાભારત અને ભગવદગીતાના પ્રસંગો કંડારવામાં આવ્યા છે.