જસદણ પેટાચૂંટણી: CM રૂપાણીનો દાવો- 'અમે 2019માં લોકસભામાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું'
જસદણઃ જસદણ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાનો ભવ્ય વિજય થયો હતો. કુંવરજી બાવળિયાનો 19985 મતથી વિજય થયો હતો. 19 રાઉન્ડની મતગણતરી બાદ કુંવરજી બાવળિયાને 90268 મત મળ્યા હતા જ્યારે કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. પોતાની કારમી હાર બાદ અવસર નાકિયાએ બોગસ મતદાનનો આરોપ લગાવ્યો હતો.
રૂપાણીએ કહ્યું કે આ ચૂંટણીનો વિજય એવો સંકેત આપે છે કે અમે 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું. ખેડૂતોના નામે કોગ્રેસે ઘણા બધા નાટકો કર્યા, છતાં ખેડૂતોએ ભાજપને મત આપ્યા છે.
જસદણ પેટાચૂંટણીમાં ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંવરજીભાઇ બાવળિયાને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આ જીતને ભાજપની જીત ગણાવી હતી અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ત્રણ રાજ્યમાં જીત બાદ કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં આવી ગઇ હતી, પરંતુ જસદણની જનતાએ તેમને નકારી.