હાર્દિક પટેલ ભાજપ સરકાર સાથે અનામત મુદ્દે વાટાઘાટો માટે તૈયાર પણ મૂકી કઈ શરત ? જાણો વિગત
હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે બંધારણે નક્કી કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધારાની અનામત અમે માંગતા જ નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે, પાટીદારોને ઓબીસી સમકક્ષના લાભ આપે પણ અમારી આ મુખ્ય માગણીને અવગણીને ભાજપ સરકાર મુદ્દાને ગોટે ચઢાવે છે.
સરકારની તરફદારી કરતા પાટીદાર આગેવાનો અને સંસ્થાઓ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું હતુ કે, સરકારનો ગેરલાભ લીધો હોય એવા પાટીદાર આગેવાનોએ સરકારથી દબાવું પડે એ સ્વાભાવિક છે. આવા આગેવાનો અમારો વિરોધ કરે છે પણ હું પાટીદાર સમાજ માટે લડું છું અને સમાજ મારી સાથે છે.
રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે જાહેર કર્યું છે કે, પાટીદાર અનામત અમારો મુખ્ય એજન્ડા છે અને આ મામલે સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. અમારી શરત એ જ છે કે, મંત્રણા માનભેર થવી જોઈએ અને નિર્ણાયક બનવી જોઈએ.
હાર્દિકે કહ્યું હતું કે, પાટીદારો વચ્ચે ફાટા પડાવવા પણ કેટલાક આગેવાનો મેદાનમાં આવ્યા છે. લેઉઆ-કડવા જેવી વાતોથી મને આશ્ચર્ય થાય છે. લેઉઆ-કડવાનો કોઇ ભેદ નથી, અમે પાટીદાર સમાજના કલ્યાણ માટે જ લડીએ છીએ અને પાટીદારો પોતાની તાકાત દેખાડીને જ જંપશે.
રાજકોટના એક અગ્રણી સાંધ્ય અખબારને આપેલી મુલાકાતમાં પોતાની પાટીદારો માટેની અનામતની માગને યોગ્ય ઠરાવતાં હાર્દિકે જણાવ્યુ હતુ કે, માગ્યા વગર મા પણ ન પીરસે, તેથી માગણી કર્યા વિના પાટીદારોનો છૂટકો નથી. તેણે ઉમેર્યું કે પાટીદારોએ અત્યાર સુધી દેશને આપ્યું જ છે, હવે હક્ક માંગે છે.
ગુજરાત સરકારે પાટીદારોને મનાવવા કરેલી જાહેરાતો અંગે હાર્દિકે કહ્યું કે, ભાજપ સરકારે અનામતના નામે જે અમે માંગ્યું જ નહોતું તે આપ્યું હતું. સરકારની વૃત્તિ પાટીદારો પ્રત્યે યોગ્ય નથી, તેનુ આ દ્રષ્ટાંત છે. હાર્દિકે કહ્યું કે સરકાર પાટીદારોને તોડવાના ગમે તેટલા ધમપછાડા કરે, પણ પરિવર્તન થઇ ને જ રહેશે.