ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસ આગળ કરે તો શું? હાર્દિક પટેલે શું આપ્યો જવાબ? જાણો વિગત
રાજકોટઃ ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષ હોય, અત્યારે બધાં જેમને મળવા દોડી આવે છે તે ખોડલઘામ નરેશ પટેલને લઇ અનેક વાતો વહેતી થઇ છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત વખતે તેમને કહ્યું હતું કે, 'તમારા માટે અમારા પક્ષના દરવાજા ખુલ્લા જ છે.' ત્યાર પછી વિજય રૂપાણી પણ નરેશ પટેલ સાથે ખાનગી બેઠક કરી હતી.
થોડા સમય પહેલા મોદીએ રાજકોટ 9 કિલોમીટર જેટલો રાજકોટના આજી ડેમથી લઇ એરપોર્ટ સુધી રોડ શો કર્યો હતો. હાર્દિક આ જ રૂટ પર રોડ શો કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ માટે હાર્દિક બેઠક કરી રણનીતિ ઘડી રહ્યો છે. આગામી દિવસોમાં હાર્દિકનું ફોક્સ રાજકોટ રહે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
અહીં જ મકાન ભાડે રાખી રણનીતિઓ ઘડવામાં આવશે. રાજકોટમાં યુવાનો સાથે હાર્દિકે બેઠકનો દોર પણ શરૂ કરી દીધો છે. યુવા વર્ગ સાથે ખાનગી બેઠકો પણ કરવામાં આવી રહી છે.
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનાર છે તેની સામે કોંગ્રેસમા સક્ષમ ધારાસભ્ય ઇન્દ્રનીલ ફાઇટ આપવાના છે ત્યારે હાર્દિક એન્ડ કંપનીએ વિજયભાઈ અને ભાજપને ફટકો આપવા રાજકોટ પસંદ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક રાજકોટમાં રહી ભાજપને માત આપવાનો પ્લાનિંગ કરી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
હાલ નરેશ પટેલને લઇ રાજકારણ ગરમાયું છે ત્યારે રાજકોટમાં આવેલા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, 'નરેશ પટેલ સમાજના આગેવાન છે, જો તેમને કોંગ્રેસ પક્ષ આગળ કરતો હોય તો સારી વાત છે. અમે બધાં પાટીદારો સાથે મળી સારું પરિણામ લાવીશું.'