પેઢલા મગફળી કૌભાંડમાં સૌથી મોટો ખુલાસોઃ કોણ નીકળ્યું મુખ્ય કૌભાંડી?
રાજકોટઃ જેતપુરના પેઢલામાં મગફળીમાં માટી ભેળવવાના કૌભાંડ મુદ્દે રાજકોટ પોલીસ વડા બલરામ મિણાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે મગન ઝાલાવાડિયાનું નામ સામે આવ્યું છે. મગન ઝાલાવાડિયા વેર હાઉસિંગ કોર્પોરેશનના એરિયા મેનેજર છે.
પેઢલા મગફળીકાંડામાં પોલીસે ગુજકોટ અને નાફેડના બે-બે અધિકારી તેમજ નાફેડના ચેરમેન વાઘજી બોડાના કૌટુંબિક ભત્રીજા રોહિતની ધરપકડ કરી છે. આ ઉપરાંત 18 આરોપીઓમાં ધણેજ સેવા સહકારી મંડળીના સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, 31મી જુલાઇના રોજ વેપારીઓ ગોડાઉનમાં મગફળી ભરવા ગયા ત્યારે બોરીઓમાં મગફળી સાથે માટીની ભેળસેળ જોવા મળતાં હોબાળો મચી ગયો હતો. વેપારીઓએ હોબાળો મચાવ્યા પછી પણ પાંચ કલાક સુધી ગુજકોટ અને નાફેડના અધિકારીઓ ઘટનાસ્થળ પર આવ્યો નહોતો. આ પછી મગનભાઈ ઝાલાવીડિયાએ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ પછી ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ હતી, જેમની તપાસમાં ખૂદ ફરિયાદ જ આરોપી નીકળ્યા છે અને મુખ્ય સૂત્રધાર તરીકે મગન ઝાલાવાડિયાનું નામ સામે આવતાં તમામ 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.