ખોડલધામ મહોત્સવ માટે બનાવાયા 4 હેલિપેડ, મોદી આવશે કે નહીં ? બીજું કોણ કોણ આવશે ? જાણો
આ મહોત્સવમાં સુઝલોનના તુલસી તંતી , કેડિલા ગ્રુપના પંકજ પટેલ, નિરમા ગ્રુપના કરશનભાઈ પટેલ , ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ , ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તે વાતને સમર્થન અપાયું છે.
બીજી તરફ અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમારોહમાં હાજર રહેશે. જો કે મોદી આ સમારોહમાં હાજર રહેવાના નથી. ખોડલધામ મહોત્સવના આયોજકોએ માત્ર પાટીદાર રાજકીય આગેવાનોને જ આ સમારોહમાં હાજર રહેવા નિમંત્રણ અપાયું હોવાની જાહેરાત કરી છે.
ખંભાલીડાથી કાગવડ તરફ જવાના રસ્તે 1200 વીઘામાં પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે, જેથી ટ્રાફિક જામ ન થાય. હાલ પૂરતો ટ્રાફિક ડાયવર્ટ માટેનો કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ જરૂર જણાશે તો ટ્રાફિક હળવો કરવા રસ્તો ડાયવર્ટ કરવામાં આવશે.
રાજકોટ: લેઉઆ પાટીદારોનાં કુળદેવી મા ખોડિયારના ધામ કાગવડના ખોડલધામ ખાતે આગામી તારીખ 17થી 21 જાન્યુઆરી સુધી મો ખોડલના નવનિયુક્ત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પાંચ દિવસના મહોત્સવમાં 50 લાખ શ્રધ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે.
મંદિર પરિસર અને તેની આસપાસ સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. આ મહોત્સવ માટે મંદિર અને દર્શાનીર્થીઓ માટે વીમા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખોડલધામ મંદિર માટે 100 કરોડનો વીમો અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આઠ કરોડનું વીમા કવચ રાખવામાં આવ્યું છે.
બીજી તરફ મહોત્સવમાં અનેક મહાનુભવાવો આવવાના હોવાથી કાગવડ ખાતે પાંચ હેલિપેડ ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે 4 હેલીકોપ્ટરનું સીધું લેન્ડિંગ થઇ શકશે. મહાનુભાવોના હેલિકોપ્ટર્સના ઉતરાણ માટેની વ્યવસ્થા મુખ્ય સમારોહથી થોડેક દૂર કરાઈ છે કે જેથી સમારોહને અસર ના થાય.
આ મહોત્સવ માટે રાજકોટ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવાઈછે. પાંચ દિવસ ચાલનાર આ મહોત્સવમાં 10 થી વધુ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ , 700થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. મંદિરમાં પ્રવેશ માટે 4 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે જેથી લોકોનો વધુ ઘસારો એક સ્થળે ન થાય,