સૌરાષ્ટ્રની 48 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા ભાજપની લાભપાંચમે બેઠક

પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જે તે બેઠકમાં નિરીક્ષકો, શહેર-જિલ્લા પ્રમુખ, તત્કાલીન પ્રમુખ, મહામંત્રીઓ, મેયર, ધારાસભ્યો, સંસદ સભ્યો, બોર્ડ નિગમના ચેરમેનો, સરકાર અને સંગઠનના પ્રભારી વગેરેને બોલાવવામાં આવશે.
રાજકોટ: વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા દિવાળી પછી 21મીએ ભાઈબીજથી ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં શરૂ થનાર છે. સપ્તાહમાં જ તમામ 182 બેઠકોની ચર્ચા થઈ જશે.
પાર્લામેન્ટરી બોર્ડમાં જેટલા નામ રજૂ થાય તેમાંથી પેનલ બનાવી કેન્દ્રીય નેતાગીરીને મોકલવામાં આવશે. અમુક બેઠકો પર એક-એક નામ જ આખરી રહે તેવી સંભાવના છે. ઉમેદવારોના નામની જાહેરાત કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ ફોર્મ ભરવાના સમયગાળામાં થશે.
ભાજપ દ્વારા ગત મહિને 20થી 24 વચ્ચે જિલ્લાવાર 3-3 નિરીક્ષકો મોકલી દાવેદારોની અને કાર્યકરોની સેન્સ લેવામાં આવી હતી. નીરીક્ષકોએ સેન્સ આઘારિત અહેવાલ તૈયાર કરી નાખ્યો છે.
21મીથી સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોની સુનાવણી થશે. 25-26મીએ સૌરાષ્ટ્રના જિલ્લાઓને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો છે. રાજકોટ શહેરની બેઠકો માટે પાર્લામેન્ટરી બોર્ડમાં 25મીએ સાંજે ચર્ચા થશે. ઉમેદવાર પસંદગીનો નિર્ણાયક તબક્કો જાહેર થતા રાજકીય ગરમાવો વધ્યો છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ અને 4 મહાનગરોની 48 બેઠકો માટે 25 અને 26મીએ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળવાની છે. રાજકોટ શહેરને લાગૂ પડતી ચાર બેઠકો માટે પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા માટે 25મીએ લાભ પાંચમના દિવસે સાંજે 7 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે.