‘વિઠ્ઠલભાઈ મારા વડીલ છે પણ એમના પર ઉંમરની અસર દેખાઇ રહી છે’, હાર્દિકે બીજું શું કહ્યું રાદડિયા વિશે? જાણો
હાર્દિકે ઉમેર્યું કે, મારી પાસે લોકોને નિડર બનાવવાની તાકાત છે તેથી લોકો મારી સાથે જોડાય છે. હાર્દિક પટેલે કહ્યું કે અમે જાગૃતિના કાર્યક્રમો આપીએ છીએ અને આગામી રણનીતિ ઘડાઇ રહી છે. તેણે જણાવ્યું કે યુવાનો-મજૂરો અને ખેડૂતોના ખભા પર દેશ ચાલે છે, રાજય ચાલે છે. આ વર્ગની આંખમાં આંસુ આવે ત્યારે પરિવર્તન નકકી જ હોય છે.
રાજકોટઃ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ સામસામે આવી ગયા છે ત્યારે હાર્દિકે રાદડિયા પર નવા પ્રહાર કર્યા છે. રાદડિયાએ તેમને ગાળો આપી તે વિવાદ અંગે હાર્દિકે જણાવ્યું છે કે, વિઠ્ઠલભાઈ મારા વડીલ છે પણ એમના પર ઉંમરની અસર દેખાઇ રહી છે.
હાર્દિકે જણાવ્યું કે, દેશમાં મરાઠા લડત, ગુર્જર લડત, જાટ લડત વગેરે પ્રેરક છે. સ્થિતિનો કયાસ કાઢવા અને પ્રેરણા માટે સહયોગ લેવો પડે અને આવા ઉદેશથી જ શિવસેના સાથે બેઠક થઇ હતી. હાર્દિકના આ તેવર જોતાં આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમ પકડે તેવા એંધાણ મળે છે.
તેણે ઉમેર્યું કે બે-પાંચ ભાજપી કાર્યકરો અમારો વિરોધ કરે તેને મીડિયા ચગાવે છે, અમારી સભાઓમાં હજારો લોકો ઉમટે તે અંગેનાં સમાચારોનું પ્રમાણ ઓછું હોય છે. હાર્દિકે ઉમેર્યું કે, હવે અમે ગામડે- ગામડે ઘૂમીને અવાજને મજબૂત કરીએ છીએ અને સમાજનો સહયોગ પણ જબ્બર મળી રહ્યો છે.
હાર્દિકે સ્વીકાર્યું હતું કે જેલયાત્રાના કારણે તેનો પ્રભાવ ઘટ્યો છે. જેલ બહાર આવ્યા લડતમાં તેનો પ્રભાવ ઘટયો હોવાનું સ્વીકારતાં હાર્દિકે જણાવ્યું કે, લોકપ્રિયતાના ગ્રાફમાં વધઘટ થતી હોય છે ને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ પણ ઘટયો છે. સરકારે મારો ૧૫ મહિનાનો સમય બગાડયો તેથી એ સ્વાભાવિક છે.
હાર્દિકે ઉમેર્યું કે, સત્તા ડગમગે ત્યારે માણસની માનસિકરૂપે અસ્ત વ્યસ્ત બની જાય એ સ્વાભાવિક છે. તેના કારણે ગમે તેમ બોલવા માંડે એ પણ સ્વાભાવિક છે, પરંતુ મારે સમાજને તોડે તેવા વિવાદમાં નથી પડવું. સમાજ બધું જ જુએ છે અને સમાજ જ સમય આવ્યે યોગ્ય જવાબ આપશે.