24 કલાક અગાઉ થયા હતા આ શ્રીલંકન સ્પિનરના લગ્ન, મેદાન પર ટીમ ઇન્ડિયાનું પડાવી દીધું ફીણ

નવી દિલ્હીઃ શ્રીલંકા સામે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા માંડ માંડ વિજય મેળવી શકી હતી. ભારતે બીજી વન-ડેમાં 3 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયની ફિરકી સામે કોઇ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહોતો. ધનંજયે ફક્ત 54 રન આપી છ વિકેટ ખેરવી હતી. રસપ્રદ વાત એ છે કે 24 કલાક અગાઉ જ ધનંજયના લગ્ન થયા હતા અને તેણે હનીમૂન પર જવાના બદલે ટીમ ઇન્ડિયા સામે વન-ડે રમવાને મહત્વ આપ્યું હતું. ધોની અને ભુવનેશ્વરની જોડીએ ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો.
ધનંજયે જાન્યુઆરી 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 કરિયરની શરૂઆત કરી હતી. ધનંજયે જણાવ્યું હતું કે, તે સાત અલગ અલગ બોલ ફેંકી શકે છે જેમાં લેગ બ્રેક, ગુગલી, કેરમ બોલ અને દૂસરાનો સમાવેશ થાય છે.
ધનંજયના તરખાટ માટે રોહિત શર્મા (54), લોકેશ રાહુલ (4), કેદાર જાધવ (1), કોહલી (4) અને હાર્દિક પંડ્યા (0) ટકી શક્યા નહોતા
ધનંજય આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે. 2013માં તેને ચેન્નઇ સુપરકિંગે 10.5 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ધનંજયના પિતા કારપેન્ટર છે. ધનંજયે વર્ષ 2012માં ન્યૂઝિલેન્ડ સામે પોતાના વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ફક્ત પાંચ મેચમાં ફક્ત તેણે 3 વન-ડે રમી છે.
શ્રીલંકાના આ 23 વર્ષીય ઓફ સ્પિનર ધનંજયના લગ્ન 23 ઓગસ્ટના રોજ કોલંબોમાં થયા હતા. તેણે નાનપણની ગર્લફ્રેન્ડ નતાલી તેક્શિની સાથે લગ્ન કર્યા હતા. ખ્રિસ્તી ધર્મના રિવાજ અનુસાર લગ્ન કરાયા હતા. શ્રીલંકાના સીનિયર ક્રિકેટર હેરાથ અને મેન્ડિસ ધનંજયના લગ્નમાં હાજર રહ્યા હતા.