નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વચ્ચે ખટપટ ચાલી રહી હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલ અનુસાર, વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે દબદાની લડાઈને કારણે ટીમ ઇન્ડિયાના બે ફાંટા પડી ગયા છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં બે જૂથમાં વહેંચાઈ રમી. પ્રથમ જૂથ વિરાટનું હતું અને બીજું જૂથ રોહિત શર્માનું હતું. રોહિતના જૂથના ખેલાડીઓને વિરાટ અને શાસ્ત્રીના નિર્ણયો પસંદ પડ્યા ન હતા. રોહિતે નિર્ણયો પર નારાજગી પણ વ્યક્ત કરી.


અહેવાલ અનુસાર, સેમી ફાઈનલમાં શમીને ન રમાડવાના નિર્ણયથી રોહિત શર્મા અને તેનું ગ્રુપ નારાજ હતુ, કેમકે શમી વર્લ્ડ કપમાં શાનદાર ફૉર્મમાં હતો અને તેણે 4 મેચમાં જ 14 વિકેટ ઝડપી હતી. રોહિતે આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. જો સેમી ફાઇનલ મેચ પર નજર નાંખીએ તો આ દાવામાં સત્યતા જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડની સામે સેમી ફાઇનલમાં રવિન્દ્ર જાડેજા જ્યારે ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા તેનો ઉત્સાહ વધારી રહ્યો હતો.



રિપોર્ટ પ્રમાણે વર્લ્ડ કપમાં જેમ જેમ રોહિત શર્મા સદી ફટકારી રહ્યો હતો, તેમ તેમ તેના ગ્રુપનાં મંતવ્યો મજબૂત બની રહ્યા હતા. એટલું જ નહીં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમી ફાઇનલમાં હાર્યા બાદ રોહિત શર્માનાં ગ્રુપે વિરાટ કોહલીને કેપ્ટનશિપમાંથી હટાવવાની માંગ કરી હતી, જેણે અત્યાર સુધી એકપણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. બૉલિંગ કૉચ ભરત અરૂણે પણ કહ્યું હતુ કે કેટલાક ખેલાડીઓ એક ટીમ યૂનિટ તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ વાદ વિવાદમાં આવી વાતો થઈ જાય છે.