નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં પસંદ ન કરવા પર ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરનાર અંબાતી રાયડુએ હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશન (એચસીએ) પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.


રાયડુએ તેલંગાનાના મંત્રી કેટી રામા રાવને આ મામલે દખલ દેવા માટે કહ્યું છે. રાયડુએ આરોપ પોતાની એ જાહેરાતના એક દિવસ બાદ લગાવ્યો છે, જેમાં તેણે હૈદ્રાબાદ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી થોડા મહિનાનો બ્રેક લેવાની વાત કહી છે.

અંબાતી રાયડુએ ભલે વ્યક્તિગત કારણો આગળ ધરીને પ્રથમ શ્રેણી ક્રિકેટથી બ્રેક લેવાની વાત કરી છે. જોકે તેના ટ્વિટ પછી સ્થિતિ બીજી તરફનો ઈશારો દર્શાવે છે. જેમાં અંબાતી રાયડુએ કહ્યું હતું કે હેલ્લો સર હું તમને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને રોકવાની અપીલ કરું છું. જ્યાં સુધી હૈદરાબાદ ક્રિકેટ ટીમમાં પૈસા અને ભ્રષ્ટ લોકોને દખલ જારી રહેશે ત્યાં સુધી કેવી રીત એક શાનદાર ટીમ બની શકે છે. રસપ્રદ વાત એ છે કે આઈસીસી વર્લ્ડ કપ માટે પોતાની સ્થાને વિજય શંકરની ટીમ ઇન્ડિયામાં પસંદ કરાતા નિરાશ થઈને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર નિશાન સાધતા થ્રીડી ચશ્માના ટ્વિટ પછી રાયડુનું આ પ્રથમ ટ્વિટ છે.

34 વર્ષના અંબાતી રાયડુની વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થઈ ન હતી. આ પછી તેણે નારાજ થઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે પછી ઓગસ્ટમાં તેણે નિવૃત્તિને ભાવનાઓમાં લેવાયેલ નિર્ણય ગણાવીને મેદાન ઉપર વાપસી કરી હતી. નિવૃત્તિ પછી વાપસી કરતા વિજય હઝારે ટ્રોફીમાં 7 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા હતા.