પપ્પા સચિન તેંડુલકરની સલાહ પર દીકરા અર્જુને લીધો આ ફેંસલો, જાણો વિગત
મુંબઈ ટી-20 લીગના એક કાર્યક્રમમાં સચિનનો સાથી ક્રિકેટર અને ખાસ મિત્ર વિનોદ કાંબલી તથા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ લીગ 11 માર્ચથી 21 માર્ચ દરમિયાન રમાશે. સચિન તેંડુલકર આ લીગનો બ્રાન્ડ એમ્બેસેડર છે. અર્જુને તેના પિતાને પૂછીને જ લીગમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેના પિતાની જેમ ક્રિકેટને જે પોતાનું સર્વસ્વ માની ચૂક્યો છે અને આ માટે તે આકરી મહેનત પણ કરી રહ્યો છે. અહેવાલ મુજબ અર્જુને થોડા દિવસો બાદ રમાનારી મુંબઈ ટી-20 લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જે માટે તેણે હાલ તૈયાર ન હોવાનું કારણ આપ્યું છે.
આ ટુર્નામેન્ટમાં અર્જુનનું રમવું સૌથી મોટી વાત હતી. પરંતુ અચાનક અર્જુનના નામ પરત ખેંચવાના ફેંસલાથી આયોજકો પરેશાન છે. કારણકે મુંબઈના ટોપ પ્લેયર્સ આ લીગમાં રમતા નહીં જોવા મળે. કેટલાંક શ્રીલંકામાં યોજાનારી ટ્રાઇ સીરિઝમાં વ્યસ્ત હશે તો અમુક નાગપુરમાં રમાનારી ઇરાની ટ્રોફીમાં લાગેલા હશે.
સચિન તેંડુલકરના સહયોગીએ અર્જુનની ટ્રેનિંગનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, તેના કોચ બોલિંગ એક્શન સહિત દરેક બાબત પર પૂરું ધ્યાન આપી રહ્યા છે. તેમણે કહ્યું, અર્જુન ઝડપથી આગળ વધી રહ્યો છે પરંતુ ગત વર્ષ ઇજાના કારણે ખરાબ થયું હતું. આવી ચીજો દૂર કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.