IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલે સવારે 5.30 વાગ્યાથી બ્રિસ્બેનના ગાબામાં રમાવાની છે. ચાર મેચોની આ સીરિઝમાં બન્ને ટીમ 1-1ની સરસાઈ પર છે. એવામાં અંતિમ ટેસ્ટ જીતનારી ટીમ સીરિઝ પોતાના નામે કરશે. જો કે, ભારતી ટીમ માટે આ મેચમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને લઈને સૌથી મોટી સમસ્યા છે.


ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી પહેલા જ અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ચુક્યા છે. જસપ્રીત બુમરાહ અને આર અશ્વિન રમશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ એક દિવસ પહેલા બ્રિસ્બેન ટેસ્ટ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી. એવામાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ મોટા ફેરફાર

ટીમ ઈન્ડિયા માટે ચોથી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સ્પિનર કુલદીપ યાદવને મોકો મળી શકે છે. આ સિવાય હનુમા વિહારીની જગ્યાએ રિદ્દિમાન સાહા અથવા મયંક અગ્રવાલની ટીમમાં વાપસી થઈ શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહની જગ્યાએ શાર્દુલ ઠાકુર એક્શનમાં જોવા મળી શકે છે.

રિષભ પંત પણ ત્રીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો, જો કે, બીજી ઈનિંગમાં પાંચમાં નંબરે બેટિંગ કરતા 97 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તેમ છતા અંતિમ ટેસ્ટમાં તે બેટ્સમેન તરીકે રમી શકે છે અને વિકેટકીપિંગ તરીકેની જવાબદારી રિદ્ધિમાન સાહાને સોંપવામાં આવી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઇલેવન: રોહિત શર્મા(ઉપ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિદ્દિમાન સાહા/ મયંક અગ્રવાલ, રિષભ પંત, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને નવદીપ સૈની.
ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયાઈ ટીમ: ડેવિડ વોર્નર, માર્ક્સ હેરિસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેન(કેપ્ટન અને વિકેટકીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લ્યોન અને જોશ હેજલવુડ.