નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનની ચર્ચાએ જોર પકડ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર નાથન લિયોન અને ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે કહ્યું કે, ચાલુ વર્ષના અંતમાં યોજાનારી ટેસ્ટ સીરિઝ દર્શકો વગર રમાશે તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કેવી રીતે તાલમેલ બેસાડશે. તેમના  આ નિવેદન બાદ લાયન અને સ્ટાર્ક ટ્વિટર પર ટ્રેન્ડ થયા હતા.


ભારતે ચાલુ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. પરંતુ કોવિડ-19 મહામારીના કારણે મેચોનું આયોજન બંધ સ્ટેડિયમમાં થાય તેવી અટકળો છે. જેને લઈ લિયોન અને સ્ટાર્કે કહ્યું કે, દર્શકો અને શોરબકોર વગર કોહલીના દેખાવ પર શું અસર પડશે. કારણકે તેને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં રમવાની આદત છે.

લિયોને એક ક્રિકેટ વેબસાઈટને જણાવ્યું, કોહલી કોઈપણ પરિસ્થિતિમાં તાલમેલ બેસાડવામાં માહેર છે. પરંતુ હું મિચેલ સ્ટાર્ક સાથે વાત કરતો હતો કે, જો અમે દર્શકો વગર રમીશું તો વિરાટ કોહલીને ખાલી સીટોમાં જાન ભરવાની કોશિશ કરતો જોવો લ્હાવો હશે. આ થોડું અલગ હશે પરંતુ વિરાટ સુપરસ્ટાર છે. ગમે તેવો માહોલ હોય તેમાં તાલમેલ બેસાડવમાં કુશળ છે.

તેણે કહ્યું, ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ ઉત્સાહિત છું. એશિઝ બાદ તે સૌથી મોટી સીરિઝ હોય છે. ભારત ક્રિકેટનું મહાશક્તિ છે અને તેમનું અહીંયા રમવું શાનદાર હશે, દર્શકો સામે રમવું કે દર્શકો વગર રમવું તે અમારા નિયંત્રણમાં નથી. અમે વિશ્વભરના ડોક્ટરોની સલાહ માનીશું.

ઓસ્ટ્રેલિયાએ 2018-19માં પ્રથમ વખત ઘરઆંગણે ભારત સામે ઘરેલુ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ નહોતા.