નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે(BCB) તેના દેશના જનક શેખ મુજીબુર્રહમાનની 100મી વર્ષગાંઠના અવસર પર બે મેચની ટી-20 સીરિઝનું આયોજન કર્યુ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ અવસરને ખાસ બનાવવા એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે બે મેચની ટી-20ની સીરિઝનું આયોજન કર્યુ છે. બીસીબીએ એશિયા ઈલેવનની જે ટીમ તૈયાર કરી છેતેમાં કુલ 6 ભારતીયોના નામ સામેલ છે.હજુ એકનું નામ ફાઈનલ થયું નથી.


ક્યારે રમાશે મેચ

એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે 18 માર્ચ અને 21 માર્ચે રમાનારી મેચ માટે કુલ 15 ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોહલી સહિત 6 ભારતીય ખેલાડને સામેલ કરવામાં આવ્યા છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશના 4, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના 2-2 તથા નેપાળના એક ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમની કેપ્ટનશિપ કોણ કરશે તેને લઈ હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી.

રોહિત શર્માની ફિટનેસ પર કોહલીનો આધાર

એશિયા ઈલેવન ટીમમાં કુલ 15 ખેલાડીમાંથી કેએલ રાહુલ પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે. કારણકે પ્રથમ મેચ દરમિયાન તે 18 માર્ચે સાઉથ આફ્રિકા સામે અંતિમ વન ડે મેચનો હિસ્સો નહીં હોય. કોહલીના નામની પણ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. કારણકે આ દરમિયાન ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે સીરિઝ રમાશે. જો રોહિત શર્મા ફિટ થઈ જશે તો કોહલી બંને મેચ માટે ઉપલબ્ધ રહેશે.

બાંગ્લાદેશ બોર્ડે જાહેર કરેલી એશિયા ઈલેવનની ટીમ

કેએલ રાહુલ (એક મેચ માટે ઉપલબ્ધ), વિરાટ કોહલી (બીસીસીઆઈએ હજુ મંજૂરી આપી નથી), શિખર ધવન, રિષભ પંત, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, લિટન દાસ, તમીમ ઈકબાલ, મુશફિકુર રહીમ, થિસારા પરેરા, રાશિદ ખાન, મુસ્તફિઝુર રહમાન, સંદીપ લામિછાને, લસિથ મલિંગા અને મુજીબ ઉર રહમાન.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસીડેન્ટ નઝમુલ હસને કહ્યું, અમે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી છે. મેચ આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ રહી હોવાથી અમે તેને લઈ ગંભીર છીએ.  કોહલી અને અન્ય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અંગે કહ્યું, જો તેઓ તેમની રાષ્ટ્રીય ટીમ સાથે સંકળાયેલા નહીં હોય તો ચોક્કસ ઉપલબ્ધ રહેશે તેવી આશા છે.