મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ ગુરુવારે 2019-2020 માટે ખેલાડીઓના એન્યુઅલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કરારમાં કુલ 27 ખેલાડીઓને સામેલ કર્યા. આ ખેલાડીઓને ચાર ગ્રેડ A+, A, B અને C માં રાખવામાં આવ્યા છે. બોર્ડે A+ ગ્રેડમાં કોઈ ફેરફાર કર્યો નથી.


ગત વર્ષની જેમ આ વર્ષે પણ A+ ગ્રેડમાં ત્રણ ખેલાડીઓને સામેલ કર્યા છે. આ ખેલાડીઓમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ છે. જો કે, આ BCCIના કોન્ટ્રાક્ટની સૌથી ખાસ વાત એ છે કે આ કરારમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કરવામાં આવ્યો નથી. ગત વર્ષે BCCIએ તેના કરારમાં 25 ખેલાડીઓને સામેલ કર્યા હતા. જ્યારે આ વર્ષે લિસ્ટમાં બે વધુ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યો છે.

ગ્રેડ A+ (7 કરોડ રૂપિયા)

વિરાટ કોહલી , રોહિત શર્મા , જસપ્રીત બુમરાહ

ગ્રેડ A (5 કરોડ રૂપિયા)

આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા , ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, મહોમ્મ્દ શમી, ચેતેશ્વર પુજારા , અજિંક્ય રહાણે, કે એલ રાહુલ, શિખર ધવન, રિષભ પંત

ગ્રેડ B (3 કરોડ રૂપિયા)

રિદ્ધિમાન સહા, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ

ગ્રેડ C (1 કરોડ રૂપિયા)

કેદાર જાધવ, મનીષ પાંડે, હનુમા વિહારી, શ્રેયસ ઐયર, દિપક ચહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર

આ યાદીમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ સામેલ નથી જેથી ચાહકો સૌથી વધુ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે, ધોની એકમાત્ર એવા ખેલાડી નથી કે જેને આ કરારમાં બહાર મૂકાયા હોય. કેટલાક સિનિયર ખેલાડીઓ આ યાદીમાંથી બહાર થયા છે, ત્યારે કેટલાક યુવા ખેલાડીઓ પ્રથમ વખત આ યાદીમાં ઉમેરાયા છે.

નવા કોન્ટ્રાકટ અનુસાર મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત બેટ્સમેન દિનેશ કાર્તિક, ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને બેટ્સમેન અંબાતી રાયડુને BCCIએ તેના વાર્ષિક કરારમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ વાર્ષિક એક કરોડ રૂપિયાના કરારમાં BCCI સાથે સંકળાયેલા હતા. ત્રણેય ખેલાડીઓને તેમના ખરાબ પ્રદર્શનના કારણે બહાર કાઢવામાં આવ્યા છે.

દિનેશ કાર્તિકે ભારત માટે છેલ્લી મેચ આઈસીસી વર્લ્ડ કપમાં રમી હતી. ત્યાર બાદથી તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. કાર્તિકે ટીમ ઇન્ડિયા માટે 26 ટેસ્ટ, 94 વન ડે અને 32 ટી20 મેચ રમ્યા છે. વન ડે ફોર્મેટમાં કાર્તિકે 30.24ની એવરેજથી 1752 રન બનાવ્યા છે. જેમાં 9 અડધી સદી સામેલ છે.