નવી દિલ્હી: શુક્રવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)ની રચના કરી છે. કમિટીમાં ભૂતપુર્વ ક્રિકેટર મદનલાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાઈકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરવ ગાંગુલી BCCI અધ્યક્ષ બન્યાના ઠીક 100 દિવસ બાદ આ કમિટીની રચના કરવામાં આવી છે. ગાંગુલી 23મી ઓક્ટોબરના રોજ અધ્યક્ષ બન્યા હતા. આ CACનો કાર્યકાળ 1 વર્ષ માટે હશે.


આ અગાઉ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 20મી ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, બે દિવસની અંદર CACની રચના કરવામાં આવશે પરંતુ CAC રચનામાં 42 દિવસનો સમય લાગ્યો છે. પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકારો એમએસકે પ્રસાદ અને સભ્ય ગગન ખોડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે ત્યારે બાકીના 3 સભ્યો જતિન પરાંજપે, સરનદીપ સિંહ અને દેવાંગ ગાંધીના કાર્યકાળ પૂરો થવામાં 1 વર્ષનો સમય બાકી છે.

મદન લાલે ભારત માટે 39 ટેસ્ટ અને 67 વનડે મેચ રમ્યાં હતાં. વર્ષ 1983માં વિશ્વ કપ જીતનાર ટીમના તેઓ સભ્ય હતા. નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના કોચ પણ બન્યા હતા. તેઓ સિનિયર સિલેક્શન કમિટીમાં સામેલ હતા. બીજીબાજુ આરપી સિંહે ભારત માટે 14 ટેસ્ટ, 58 વનડે અને 10 T-20 રમ્યા હતા.