નવી દિલ્હીઃ કોરોના કાળ વચ્ચે ગઈકાલથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે. આ દરમિયાન ગઈકાલે બીસીસીઆઈ અધ્યક્ષ અને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થયો હોવાની જાહેરાત કરી હતી. જેને લઈ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.


ગાંગુલી સ્પોર્ટ્સ તકના ઈન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં કહ્યું, ડિસેમ્બરમાં અમે પ્રથમ ફૂલ સીરિઝ રમીશું. સપ્ટેમ્બરમાં રમાનારો એશિયા કપ પડતો મૂકવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી કે તેમણે 2022માં ટૂર્નામેન્ટની યજમાની પર સહમતિ વ્યક્ત કરી છે અને ચાલુ વર્ષે રદ્દ થયા બાદ શ્રીલંકા હવે આગામી વર્ષે યજમાની કરશે.

પીસીબી પ્રમુખ એહસાન મનીએ કહ્યું, મહામારીની સ્થિતિના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ તેને આગામી વર્ષે યોજવા માંગે છે. ચાલુ વર્ષે તેની યજમાની કરવી ઘણી ખતરનાક છે. શ્રીલંકા દક્ષિણ એશિયામાં કોરોના વાયરસના સૌથી ઓછા પ્રભાવિત દેશો પૈકીનો એક હોવાથી અમે આ ટુર્નામેન્ટ રમાડવાનું નક્કી કર્યુ હતું.

તેમણે એમ પણ કહ્યું કે, એશિયા કપ સ્થગિત થવા પાછળ કોઈ રાજનીતિ નથી અને આ ફેંસલો વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે.