નવી દિલ્હીઃ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ હવે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે તૈયાર છે. આગામી 19 જુલાઈના રોજ બીસીસીઆઈ ટીમની જાહેરાત કરશે. જોકે મીડિયા અહેવાલ અનુસાર ધોનીને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે સ્થાન મળવાની શક્યતા ઓછી છે. કહેવાય છે કે, ધોની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમની જાહેરાત થાય એ પહેલા જ નિવૃત્તીની જાહેરાત કરી શકે છે. આગામી 48 કલાકમાં ધોની અને સિલેક્ટર્સ વચ્ચે વાતચીત થઈ શકે છે. જોકે આ મામલે કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી.




વર્લ્ડકપમાં ધોનીની ધીમી બેટિંગને લઈને તેના પર અનેક સવાર ઉઠી રહ્યા છે. અંગ્રેજી સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના હવાલે જણાવ્યું ચે કે, વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતા મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદ ટુંક સમયમાં તેની સાથે વાતચીત કરશે. તેમણે કહ્યું કે, જો ધોની ખુદ નિવૃત્તીની જાહેરાત ન કરે તો તેને ટીમમાં સામેલ કરવામાં નહીં આવે. આમ પસંદગીકારોએ ઈશારામાં સંકેત આપ્યા છે કે, હવે ધોની ટીમ પસંદગીની યોજનામાં સામેલ નથી.

Cricket - ICC Cricket World Cup - India v Australia - The Oval, London, Britain - June 9, 2019 India's MS Dhoni wearing his new gloves without an emblem on them Action Images via Reuters/Andrew Boyers

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડીયાનો વેસ્ટ ઈન્ડીઝનો પ્રવાસ 3 ઓગષ્ટથી શરૂ થશે. જેમાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમવામાં આવશે. પ્રવાસની શરૂઆત ટી-20થી થશે, ત્યારબાદ વન ડે 8 ઓગષ્ટથી. અને 22 ઓગષ્ટે પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવશે, બીજી ટેસ્ટ મેચ 30 ઓગષ્ટે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની પસંદગી 19 જુલાઈએ થઈ શકે છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે શિખર ધવનનું રમવું પણ મુશ્કેલ છે. તેની જગ્યાએ ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન મળી શકે છે.