નવી દિલ્હીઃ આગામી મહિને ક્રિકેટનો મહાકુંભ આઇસીસી વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2019 શરૂ થવા જઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં ક્રિકેટજગતની દિગ્ગજ ટીમો ભાગ લઇ રહી છે. ત્યારે ક્રિકેટના દિગ્ગજો પોતાના મત-મતાંતરો પ્રમાણે કોઇને કોઇ ટીમને વિશ્વકપ વિજેતાની પ્રબળ દાવેદાર ગણાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય ટીમના કૉચ રવિ શાસ્ત્રીએ પણ એક નિવેદન આપીનો બધાને ચોંકાવી દીધા છે.


ઇંગ્લેન્ડ વર્લ્ડકપ વિશે એક મીડિયા સાથે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું, આ વખત વર્લ્ડકપ જીતવામાં પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડિયા કે ઓસ્ટ્રેલિયા નથી, પણ ઇંગ્લેન્ડની ટીમ છે.



તેમને કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ છેલ્લા બે વર્ષથી ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહી છે. તેમની પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ છે. તેમની પાસે બૉલિંગ અને બેટિંગમાં ઉંડાણ છે, અને ખાસ કરીને તે પોતાના ઘરેલુ મેદાનો પર રમી રહ્યાં છે. એટલા માટે ઇંગ્લેન્ડને હું ક્રિકેટ વર્લ્ડકપ 2019 જીતવાની પ્રબળ દાવેદાર ટીમ માની રહ્યો છું.



જોકે, શાસ્ત્રીએ એ પણ કહ્યું કે, વર્લ્ડકપમાં એવી કેટલીય ટીમો છે જે ગમે ત્યારે ગમે તે ટીમને હરાવવાની તાકાત રાખી શકે છે. ક્રિકેટમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે.