નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 12 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વન-ડે રમાશે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ધર્મશાળામાં ઉપસ્થિત રહશે. જોકે આ મેચ પર કોરોનાવાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. કારણ કે મેચ જોવા માટે દેશ-પ્રદેશ અને દુનિયાભરના ક્રિકેટપ્રેમી પહોંચશે. આ કારણે કોરોનાવાયરસ ફેલાવવાની આશંકાથી ઇન્કાર કરી શકાય નહીં. હિમાચલ ક્રિકેટ એસોસિયેશન તરફથી આ બાબતે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ધર્મશાલા વન-ડે મેચ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ 10 ફેબ્રુઆરીએ પહોંચશે.


હિમાચલ ક્રિકેટ એસોસિયેશનના પદાધિકારી સંજય શર્માએ જણાવ્યું હતું કે, તેમના તરફથી આ દિશામાં કોઈ સુવિધા કરવામાં આવી નથી. કારણ કે કોરોના મામલે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે નિર્ણય લેવાનો છે. વાયરસની આશંકાને લઈને મેડિકલ બૂથ કે અન્ય સ્તરની સુવિધા પણ પ્રદેશ સરકારે કરવાની છે. જો કોઈ આદેશ આવશે તો અમલ કરવામાં આવશે.



કાંગડા જિલ્લાના સીએમઓ ડૉ. ગુરુદર્શન ગુપ્તાએ કહ્યું હતું કે કોરોનાવાયરસને લઈને એડવાઇઝરી છે કે મોટા સ્તર પર લોકો ભેગા ના થાય. મેચ દરમિયાન વ્યવસ્થાને લઈને નિર્ણય સરકારના સ્તરે લેવામાં આવે છે. તે આના પર વધારે કશું બોલી શકશે નહીં. પ્રદેશમાં વાયરસનો પ્રકોપ મોટા સ્તર પર નથી. હિમાચલ પ્રદેશમાં કોરોનાના ત્રણ સંદિગ્ધ કેસ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ધર્મશાલામાં બનેલા ક્રિકેટ સ્ટેડિયમમાં 22 હજાર લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. આ સ્ટેડિયમમાં ચોથી વન-ડે મેચ રમાશે. ધર્મશાલા ટૂરિસ્ટ સ્પોટ પણ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.