નવી દિલ્હીઃ વિતેલા બે ત્રણ વર્ષમાં જોઈઓ તો ટીમ ઇન્ડિયાની બોલિંગનું પ્રદર્શન ટોચ પર રહ્યું છે. જ્યારે બેટિંગ માટે બધાને ચિંતા છે. જેના કારણે ભારતે વર્લ્ડકપ 2019માં સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો. એવામાં ટીમ ઇન્ડિયા બોલિંગ કોચ ભરત અરૂણ તો ટીમમાં જળવાઈ રહે તેવી સંભાવના છે પરંતુ બેટિંગ કોચ સંજય બાંગર પર ટીમ ઇન્ડિયાના ખરાબ બેટિંગ પ્રદર્શનને કારણે બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.


ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કૉચ અને સપોર્ટ સ્ટાફ માટે અરીજીઓ મંગાવવામાં આવી છે અને નવેસરથી ઇન્ટરવ્યૂ દ્વારા દરેક પદ પર નિમણુક કરવામાં આવશે. કપિલ દેવની આગેવાનીમાં સલાહકાર સમિતિ મુખ્ય કૉચને લઇને નિર્ણય કરશે, જ્યારે પસંદગીકારોને સપોર્ટ સ્ટાફ માટે ઇન્ટરવ્યૂ લેવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોનું માનીએ તો ટીમ ઈન્ડિયાનાં બૉલિંગ કૉચ ભરત અરૂણ પોતાના પદ પર બનેલા રહી શકે છે, કેમકે તેમની દેખ-રેખમાં ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાં ભારતીય બૉલરોએ સારું પ્રદર્શન કર્યું છે. તો સંજય બાંગર માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને બેટિંગ કૉચ તરીકે તક મળવી મુશ્કેલ છે, કારણ કે 4 વર્ષમાં તેઓ મજબૂત મધ્યમક્રમ બનાવી શક્યા નથી.

અધિકારીનાં જણાવ્યા પ્રમાણે વિરાટ અને રોહિત બાંગરની પહેલા પણ સારી બેટિંગ કરી રહ્યા હતા. તેમની સફળતામાં બાંગરનો કોઈ રોલ નથી. તેમનું કામ મધ્યમક્રમને મજબૂત બનાવવાનું હતુ, પરંતુ તેઓ આમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા.